ગુજરાતમાં તૌકતે વાવાઝોડું નબળું પડ્યું, હવે રાજસ્થાન-મધ્ય પ્રદેશમા અસર વર્તાશે

- ભારે પવન સાથે વરસાદ ખાબકશે

અમદાવાદ, તા. 18 મે 2021, મંગળવાર

અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે 8:00 કલાકે ગુજરાતના કિનારે અથડાયું હતું. વાવાઝોડાના કારણે કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા હતા. વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં 6 લોકોનો ભોગ લીધો હતો અને ચારેય રાજ્યોમાં હજારો ઘરોને નુકસાન થયું હતું. આ તરફ ગુજરાતમાં 1.5 લાખ કરતા પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

18 મે ભારતના હવામાન વિભાગે મંગળવારે જણાવ્યુ હતું કે, ચક્રવાત તૌકતે સોમવારની મધરાતે સૌરાષ્ટ્રના દીવ અને ઉનાના બીચ તથા ગુજરાતના તટિય વિસ્તારમાં ટકરાયા બાદ વાવાઝોડુ નબળુ પડ્યુ છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યુ છે કે, તાઉતના કારણે કોઈ જાનહાનીના ખબર નથી, અને આ વાવાઝોડુ હવે થોડુ નબળુ પડ્યુ છે.

રાજસ્થાન અને યુપીના વિસ્તારોમાં આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાકની અંદર યુપી, હરિયાણા અને રાજસ્થાનના અમુક વિસ્તારમાં હલ્કાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાત માથે થોડી રાહત થઈ છે.

જોધપુરમાં હાઈએલર્ટ, 117 લોકોને નોટિસ આપી મકાન ખાલી કરાવ્યા

વાવાઝોડાના કારણે રાજસ્થાનમાં અસર વર્તાવાની સંભાવના છે. જેને ધ્યાને રાખીને પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયુ છે. તૌકતે વાવાઝોડાને જોતા જોધપુર શહેરમાં 72 કલાકનું હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે. નગરપાલિકાએ અહીં જર્જરિત ઈમારતોનું તાત્કાલિક સર્વે કરીને 116 લોકોને નોટિસ ફટકારી તાત્કાલિક મકાનો ખાલી કરવાનો આદેશ આપી દીધો છે.

હવામાન વિભાગે મધરાતે એક ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, રાજ્યમાં અતિ ગંભીર હાલતમાં હવે ગંભીર વાવાઝોડુ રહ્યુ છે. જેથી અનુમાન છે કે, વાવાઝોડુ ઘણા બધા અંશે નબળુ પડ્યુ છે. વિભાગે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, વાવાઝોડુ તટિય વિસ્તારમાંથી પસાર થઈ ચુક્યુ છે, તેનો પાછળનો ભાગ જમીની સ્તરથી આગળ વધી રહ્યો છે.

ભીષણ વાવાઝોડુ સોમવારે રાતે લગભગ 9 વાગ્યાની આસપાસ ગુજરાતભર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના તટિય વિસ્તારમાં ટકરાયુ હતું. આ અગાઉ વાવાઝોડાના કારણે મુંબઈમાં ભારે વરસાદ અને ગુજરાતમાં લગભગ 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા.

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

લક્ષદ્વિપ પાસે અરબી સમુદ્રમાં ગત શુક્રવારે સર્જાયેલું વાવાઝોડુ દરિયામાં સિવિયર, વેરી સિવિયર અને આજે રાત્રે એક્સ્ટ્રીમલી સિવિયર બનીને મહાવિનાશક, ભયાનક તાકાત સાથે તે સૌરાષ્ટ્રના ઉના, દિવના દરિયા પાસે ત્રાટક્યું છે . વાવાઝોડાનો છેડો દિવને સ્પર્શ થયો ત્યાં મોડી સાંજથી જ કલાકના 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા લાગતા અને મુશળધાર વરસાદ તૂટી પડતા વિજપૂરવઠો બંધ કરી દેવાયો છે. આ સાથે જ સૌરાષ્ટ્રના ખાસ કરીને ઉના, વેરાવળ, અમરેલી આસપાસના સાગર કાંઠાના ગામોમાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસરો વર્તાઈ હતી .લાંબા અરસા બાદ પ્રથમવાર પ્રચંડ શક્તિશાળી વાવાઝોડુ કે જે સમગ્ર ગુજરાતમાં પસાર થતી વખતે નબળુ પડીને ડીપ્રેસનમાં ફેરવાતું નથી પરંતુ, વાવાઝોડા તરીકે જ પસાર થનાર હોય તંત્ર હાઈએલર્ટ પર રખાયું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wiU60D
via IFTTT

ટિપ્પણીઓ નથી: