દિલ્હીમાં એક સપ્તાહ માટે લંબાવાયું લોકડાઉન, હવે આ તારીખ સુધી લાગુ રહેશે પ્રતિબંધો

- મુખ્યમંત્રીએ આગામી એક સપ્તાહમાં વધુ રિકવરી થાય તેવી આશા વ્યક્ત કરી
નવી દિલ્હી, તા. 16 મે, 2021, રવિવાર
દિલ્હીમાં કોરોનાના પ્રસાર પર લગામ કસવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવી દેવાયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 17 મેના રોજ પૂર્ણ થનારૂં લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારને વેક્સિનની તંગી મામલે ચિઠ્ઠી પણ લખી છે.
મુખ્યંત્રીના કહેવા પ્રમાણે દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ બાદ નવા કેસમાં ધીરે-ધીરે ઘટાડો નોંધાવા લાગ્યો છે અને છેલ્લા 2-3 દિવસથી સંક્રમણનો દર પણ ઘટી રહેલો જણાય છે. તેમણે લોકડાઉનનો ઉપયોગ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનો મજબૂત કરવા કરાયો હોવાની માહિતી આપી હતી.
અરવિંદ કેજરીવાલે રવિવારે જણાવ્યું કે, દિલ્હીમાં કાલે સવારે 5:00 વાગ્યા સુધી લોકડાઉન હતું. દિલ્હીમાં રિકવરી રેટ સુધરી રહ્યો છે અને કોરોનાના કેસમાં ખૂબ જ ઝડપથી ઘટાડો આવ્યો છે તે જોતા લોકડાઉનને એક સપ્તાહ માટે લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉનને આગામી સોમવારની સવારના 5:00 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6.5 હજાર કેસ નોંધાયા છે અને શનિવારે સંક્રમણ દર 1 ટકા ઘટીને 10 ટકાએ પહોંચી ગયો હતો. મુખ્યમંત્રીએ આગામી એક સપ્તાહમાં વધુ રિકવરી થાય તેવી આશા વ્યક્ત કરી હતી. તેમના કહેવા પ્રમાણે દિલ્હી ધીમે-ધીમે ટ્રેક પર આવી રહ્યું છે અને પહેલાની જેમ જ પ્રતિબંધો રહેશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RYwrnj
via IFTTT
ટિપ્પણીઓ નથી: