PNB કૌભાંડઃ આરોપી મેહુલ ચોક્સી રવિવારથી લાપતા, એન્ટીગા પોલીસે લોકો પાસેથી માંગી જાણકારી

- ચોક્સીના વકીલને મોકલામાં આવેલા સવાલનો પણ કોઈ જવાબ નથી મળ્યો
નવી દિલ્હી, તા. 25 મે, 2021, મંગળવાર
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં આરોપી અને હીરાનો ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી લાપતા થયો છે. મેહુલ ચોક્સી એન્ટીગા અને બારબુડામાં લાપતા થયો છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ કમિશનર એટલી રૉડનેના કહેવા પ્રમાણે પોલીસ જેના લાપતા હોવાની અફવા છે તેવા ભારતીય વ્યવસાયી મેહુલ ચોક્સીનું ઠેકાણું શોધી રહી છે. 2018માં ભારતમાંથી ફરાર થયા બાદ ચોક્સી કેરેબિયન દેશ એન્ટીગા એન્ડ બારબુડામાં રહેતો હતો.
એન્ટીગા પોલીસે ભાગેડુ કારોબારી અને આરોપી મેહુલ ચોક્સી લાપતા હોવાનો કેસ નોંધ્યો છે. છેલ્લે તે રવિવારે (23 મે) સાંજે 5:15 કલાકે પોતાના નિવાસસ્થાનેથી કારમાં નીકળતો જોવા મળ્યો હતો. એન્ટીગાના જોનસન પોઈન્ટ પોલીસ સ્ટેશને આ અંગે કેસ દાખલ કર્યો છે. પોલીસે જનતાને ચોક્સી અંગે કોઈ માહિતી હોય તો જાણ કરવા વિનંતી કરી હતી.
ગાડી મળી, ચોક્સી લાપતા
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે કેરેબિયન દ્વીપ એન્ટીગા એન્ડ બારબુડાની નાગરિકતા લેનારો ચોક્સી રવિવારે દ્વીપના દક્ષિણી ક્ષેત્રમાં ગાડી ચલાવતો જોવા મળ્યો હતો. બાદમાં તેની ગાડી મળી પરંતુ ચોક્સીના કોઈ સગડ નથી મળ્યા. જાણવા મળ્યા મુજબ તેમના વકીલને મોકલામાં આવેલા સવાલનો પણ કોઈ જવાબ નથી મળ્યો.
ચોક્સી અને નિરવ મોદી પંજાબ નેશનલ બેંકમાંથી કથિત 13,500 કરોડ રૂપિયાની હેરાફેરી કેસમાં સંડોવાયેલા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oNZVkb
via IFTTT
ટિપ્પણીઓ નથી: