ભારતામાં કોરોના વિસ્ફોટ માટે વડાપ્રધાન સહિતના રાજનેતાઓ દ્વારા એકઠી થયેલી ભીડ પણ જવાબદાર : WHO

- ભારતમાં બીજી લહેર માટે નવો વેરિએન્ટ પણ જવાબદાર : સૌમ્યા સ્વામીનાથન
નવી દિલ્હી, તા. 10 મે 2021, સોમવાર
ભારત અત્યારે કોરોના વાયરસની ઘાતક બીજી લહેરમાંથી પસાર થઇ રહ્યું છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે કાળો કહેર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના ફેલાવા માટે રાજકિય મેળાવડા અને ધાર્મિક મેળાવડાને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા પ્રસિદ્ધ લાન્સેટ જર્નલે પણ આ વાત કહી હતી. ત્યારે હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ભારતમાં બીજી લહેર માટે ધાર્મિક મેળાવડાઓ, રાજકીય રેલીઓ અને લોકોની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.
આ સાથે WHOએ જણાવ્યું છે કે ભારતમાં કોરોના વિસ્ફોટ પાછળ મહત્વનું એક કારણ કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ છે, જે વધુ ચેપી અને જીવલેણ છે. ઉપરાંત રસીકરણની ધીમી ગતિ પણ જવાબદાર છે. WHOના ટોચના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી છે કે ભારતમાં આજે કોરોના મહામારીની સ્થિતિ કોરોના વેરિએન્ટ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો હોવાના સંકેત આપે છે. કોરોના વિસ્ફોટથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ અભિયાનને ઝડપી બનાવવું છે.
ભારતમાં કોરોના વિસ્ફોટનું કારણ
ભારતીય શીશુ રોગ નિષ્ણાત અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટોચના વૈજ્ઞાનિક ડૉ. સ્વામીનાથને કહ્યું કે કોરોનાનો નવો વેરિએન્ટ બી.૧.૬૧૭ ભારતમાં ઓક્ટોબરમાં શોધાયો હતો. તે કોરોના વિસ્ફોટનું સૌથી મોટું કારણ છે. આ નવો વેરિઅન્ટ દેશમાં દરરોજ લાખો લોકોને તેનો શિકાર બનાવી રહ્યો છે અને તે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ભારતમાં મળેલો આ નવો વેરિઅન્ટ ઘણો જ ખતરનાક છે, જે શરીરમાં એન્ટીબોડી બનાવવામાં પણ અવરોધો સર્જે છે અને જૂના વેરિએન્ટની સરખામણીમાં ઘણી ઝડપથી મ્યુટેટ કરે છે. કોરોનાના પ્રસાર માટે લોકોની બેદરકારી પણ જવાબદાર છે.

કોરોનાની બીજી લહેર વધુ વિનાશક
ભારતમાં કોરોનાની બીજી લહેર વધુ વિનાશક બની રહી છે. તેને કારણે દેશમાં કોરોનાથી થતાં મોત અને નવા કેસ નવી વિક્રમી ઊંચાઈ પહોંચી રહ્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. તેણે વારંવારની ચેતવણીઓની અવગણના કરી હતી. અમેરિકન મેડિકલ જર્નલ લાન્સેટના તંત્રીલેખ મુજબ આઈસીએમઆરે સીરો-સર્વેલન્સમાં દેશની માત્ર ૨૧ ટકા વસતી કોરોનાથી એક્સપોઝ થઈ હોવાનું દર્શાવાયું હોવા છતાં કેન્દ્ર સરકારે ભારતે ‘કોરોનાને હરાવી દીધો’ હોવાની જાહેરાત કરી દીધી હતી. આઈસીએમઆરે પણ કહ્યું કે ભારતમાં કોરોનાની વકરતી સ્થિતિ માટે કેન્દ્રે જવાબદારી સ્વીકારવી જોઈએ.
બીજી લહેરના ફેલાવા માટે કેન્દ્ર સરકાર પર દોષારોપણ
અમેરિકન મેડિકલ જર્નલ લાન્સેટે ભારતમાં કોરોનાની બીજી લહેરના ફેલાવા માટે કેન્દ્ર સરકાર પર દોષારોપણ કરાયું છે. મેડિકલ જર્નલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોરોના મહામારી છતાં દેશમાં વ્યાપક સ્તરે કુંભમેળા જેવા ધાર્મિક અને પાંચ રાજ્યોની ચૂંટણીમાં જંગી રેલીઓ થવા દીધી. વધુમાં ભારતમાં રસીકરણ કાર્યક્રમ પણ ધીમો પડી ગયો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના સીરો-સર્વેલન્સના સંશોધનમાં જણાવાયું હતું કે, દેશની માત્ર ૨૧ ટકા વસતી જ વાઈરસના ચેપથી એક્સપોઝ થઈ હતી આમ છતાં સરકારે એવી છાપ ઊભી કરી જાણે ભારતે કોરોનાને હરાવી દીધો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3twwqnp
via IFTTT
ટિપ્પણીઓ નથી: