મહારાષ્ટ્રમાં ભેખડો ધસી પડતાં 65નાં મોત


મેઘરાજાએ મહેર નહીં કેર વર્તાવ્યો : રાયગઢ, સાતારા, રત્નાગિરીમાં હોનારતો સર્જાઈ 

મેઘતાંડવથી વિવિધ હોનારતમાં 48 કલાકમાં 129 લોકો માર્યા ગયા : કાટમાળમાં વધુ મૃતદેહ દટાયાની શંકા

વરસાદ અને પૂરના લીધે બચાવ કામગીરીમાં અવરોધ, રત્નાગિરીના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન પર રખાયેલા 8 દર્દીએ જીવ ગુમાવ્યો

વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ મૃતકના પરિવારને આર્થિક મદદ જાહેર કરી 

મુંબઈ : મહારાષ્ટ્રમાં વરસાદે રોદ્રરૂપ ધારણ કરતા 48 કલાકમાં 129 લોકોના મોત નિપજ્યા હતા. રાયગઢ, સાતારા, રત્નાગિરીમાં ભેખડ ધસી પડવાની જુદી જુદી ઘટનામાં અંદાજે 65 લોકો મોતને ભેટયા હતા.

પોલીસ, પાલિકા કર્મચારી, ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમે કાટમાળમાંથી ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા. હજી પણ વધુ મૃતદેહો કાટમાળમાં દબાયેલા હોવાની શંકા છે. વરસાદ અને ઠેરઠેર પાણી ભરાઈ જતા રાહત કામગિરીમાં ભારે મુશ્કેલી થઈ હતી. અહીં અમૂક લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રત્યેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની માદદની ઘોષણા કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તની મફત સારવાર કરાશે એમ કહ્યું હતું. જ્યારે વડાપ્રધાને મૃતકના કુટુંબીજનોને બે લાખ રૂપિયા અને જખમીને 50 હજાર રૂપિયા આપવાનું જાહેર કર્યું હતું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં વરસાદને લીધે બનેલી ભેખડ ધસી પડવાના બનાવથી ઘણું દુ:ખ થયું છે. આ ઘટના બાબતે સીએમ ઉદ્ધવ ઠાકરે અને એનડીઆરએફના ડીજી એસ.એન. પ્રધાન સાથે વાત કરી છે.

એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. કેન્દ્ર દ્વારા જરૂરી દરેક મદદ કરવામાં આવી રહી છે. 'રાયગઢમાં અને અન્ય સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. ભેખડ ધસી પડવાની શક્યતા છે. ત્યાં રહેતા લોકોની બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

મૂશળધાર વરસાદને લીધે રાયગઢના મહાડ તાલુકામાં તળઈ ગામમાં ભેખડ ધસી પડતા અંદાજે 35 ઘર કાટમાળમાં દબાઈ ગયા હતા. અહીં રહેતા લોકો જીવ બચાવવા ઘરમાંથી બહાર આવી શક્યા નહોતા. આ કરૂણ બનાવ ગઈકાલે સાંજે 4 વાગ્યે બન્યો હતો. પણ ધોધમાર વરસાદ અને પાણી ભરાયેલા હોવાથી તેમના સુધી મદદ પહોંચાડવાનું શક્ય બન્યું નહોતું. છેવટે આજે સવારથી બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

સ્થાનિક લોકો, પોલીસ, એનડીઆરએફની ચાર ટીમ ઘરમાં કાટમાળમાંથી અંદાજે 36 મૃતદેહો બહાર કાઢ્યા હતા. જ્યારે જખમીને હેલીકોપ્ટર દ્વારા બહાર કાઢીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

આ સિવાય રત્નાગિરીના ખેડ તાલુકામાં ધામણંદ નજીક પોસરે બૌદ્ધવાડીમાં આવી જ દુર્ઘટનામાં 12 ઘરને નુકસાન થયું હતું. ભેખડ ધસી પડવાથી 17 વ્યક્તિ કાળનો કોળીયો બની ગઇ હતી. અનેક જાનવર પણ માર્યા ગયા હતા. ખેડમાં વરસાદથી નદીમાં પૂર આવતા ગામમાં પાણી ભરાઈ ગયું હતું. સાતારામાં પાટણ તાલુકામાં ભિરગાવ, આંબેઘર, હુંબરબળી, ઢોકાવળે અને અન્ય સ્થળે ભેખડ ધસી પડી હતી. 

આંબેઘર અને મિરગાંવમાં 12 જણ મૃત્યુ પામ્યા હતા. આમ તમામ બનાવ બાદ મદદ માટે વિલંબ થયો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. રત્નાગિરીના ચિપલૂણ ખાતે કોવિડ સેન્ટરમાં પાણી ભરાઈ જતા વિદ્યુત પ્રવાહ બંધ થઈ ગયો હતો. અહીં 21 જણને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વેન્ટિલેટર અને ઓક્સિજન પર રાખવામાં આવેલા આઠ દર્દીનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે.

ભેખડ ધસી પડવા, પાણીમાં તણાઈ જવા અને અન્ય દુર્ઘટનામાં 48 કલાકમાં મહારાષ્ટ્રમાં અંદાજે 129 જણ માર્યા જતા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મુંબઇના ગોવંડીમાં ગઇકાલે રાત્રે મકાન તૂટી પડતા ચાર જણ માર્યા ગયા હતા અને  6 જણાને ઇજા થઇ હતી. હાલમાં જ મુંબઇના ચેમ્બુર, વિક્રોલી અને  ભાડૂપમાં પણ ભેખડ ધસી પડતા અને  દીવાલ તૂટી પડતા 30 થી વધુ જણ મોતને ભેટયા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W9wWwF
via IFTTT

ટિપ્પણીઓ નથી: