બાળકોને કોરોનાનું જોખમ ઓછું, પ્રાથમિક સ્કૂલો શરૂ થઈ શકે

દેશમાં 67 ટકા લોકોમાં એન્ટીબોડી બની છતાં ગફલત રાખવી જોખમી : સીરો સરવે
125 દિવસમાં પહેલી વખત કોરોનાના દૈનિક કેસ ઘટીને 30 હજાર દેશમાં 40 કરોડ લોકો પર હજુ પણ કોરોનાનો ખતરો : સીરો સરવે
ઓક્સિજનની અછતને કારણે કોઇ પણ રાજ્યમાં મોતની ઘટના સામે નથી આવી : કેન્દ્રનો રાજ્યસભામાં દાવો
નવી દિલ્હી : કોરોના વાઇરસના દૈનિક કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે પણ બીજી તરફ હજુ પણ દેશના 40 કરોડ લોકો પર કોરોનાનો ખતરો છે. આ દાવો ચોથા રાષ્ટ્રીય સ્તરના સીરો સરવેના આધારે કરવામાં આવ્યો હતો. આઇસીએમઆરના સીરો સરવે મુજબ દર ત્રણમાંથી એક વ્યક્તિને કોરોના વાઇરસનો હજુ પણ ખતરો છે.
બીજી તરફ બે તૃત્યાંસ એટલે કે 67 ટકા વસતીમાં કોરોના સામે મહત્વપૂર્ણ ગણાતી એંટીબોડી બની ગઇ છે તેમ પણ આ સરવેમાં સામે આવ્યું હતું. બીજી તરફ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
પહેલી વખત કોરોનાના દૈનિક કેસ ઘટીને 30 હજાર નોંધાયા હતા જે છેલ્લા 125 દિવસમાં સૌથી ઓછા છે. જ્યારે દૈનિક મૃત્યુઆંક પણ ઘટીને 374 પર આવી ગયો હતો અને કુલ મૃત્યુઆંક વધીને હવે 4.14 લાખે પહોંચ્યો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને 3.11 કરોડે પહોંચી હતી.
દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને 406130એ પહોંચી હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં 15 હજાર કેસોનો ઘટાડો થયો હતો. એક જ દિવસમાં કોરોનાના 18 લાખ જેટલા ટેસ્ટ કરાયા હતા. અને કુલ ટેસ્ટનો આંકડો 44.73 કરોડને પાર પહોંચી ગયો હતો.
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતના અનેક મામલા સામે આવ્યા હતા અને મોત થયા હોવાના દાવા પણ થયા હતા. એવામાં કેન્દ્ર સરકારે રાજ્ય સભામાં તદ્દન વિપરીત જવાબ આપ્યો હતો અને દાવો કર્યો હતો કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓક્સિજનની અછતને કારણે મોત થયું હોવાના કોઇ મામલા સામે નથી આવ્યા.
બીજી તરફ રસીકરણ અભિયાન ઝડપી બનાવી દેવામાં આવ્યું છે. દેશભરમાં કોરોનાની રસીના અત્યાર સુધીમાં 42.15 કરોડ ડોઝ રાજ્યોને કેન્દ્રએ પહોંચતા કર્યા છે. જ્યારે વેસ્ટેજ સાથે અત્યાર સુધી રસીના 40 કરોડથી વધુ ડોઝનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. રાજ્યો પાસે હજુ પણ કોરોનાની રસીના 2.11 કરોડ ડોઝ ઉપલબૃધ છે.
દરમિયાન કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો થતા ઘણા રાજ્યોમાં કેસોની સંખ્યા નીચે આવી ગઇ છે. એવામાં આઇસીએમઆરના વડા બલરામ ભાર્ગવે કહ્યું હતું કે ભારતમાં એક વખત સ્કૂલો ખોલવાની શરૂઆત થઇ જાય તો શરૂઆત પ્રાઇમરી સ્કૂલોથી કરવી જોઇએ. કેમ કે બાળકોમાં કોરોનાનું ઇંફેક્શન લાગવાનું જોખમ પુખ્ત કે વધુ વયના કરતા ઓછુ રહેલુ છે.
આઇસીએમઆર દ્વારા જ ચોથો અને જુન-જુલાઇનો સીરો સરવે જાહેર કરાયો હતો, સીરો સરવે જાહેર કરતા બલરામ ભાર્ગવે વધુમાં કહ્યું હતું કે જે વિસ્તારોમાં એંટીબોડી નથી બની ત્યાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધુ છે. તેથી આ વિસ્તારો પર વધુ કામ કરવાની જરૂર છે.
સરવેમાં સામેલ 6થી 17 વર્ષના બાળકોમાંથી અડધા સીરો પોઝિટિવ મળ્યા હતા. સાથે તેમણે સલાહ આપી હતી કે લોકોએ હજુ પણ સામાજિક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમોથી પોતાને દુર રાખવાની જરૂર છે. માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવું હાલ પણ એટલુ જ જરૂરી છે. રસીના બન્ને ડોઝ લઇ લીધા બાદ જ ટ્રાવેલ કરવું જોઇએ.
18 વર્ષથી વધુ વયનાને રસી આપવા 188 કરોડ ડોઝની જરૂર
દેશમાં 18 વર્ષથી વધુ વયનાને રસી આપવામાં આવી રહી છે. એવામાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશમાં 18 વર્ષથી વધુ વયનાની વસતી 94 કરોડ જેટલી છે અને તેથી તેમને રસી આપવા માટે 188 કરોડ ડોઝની જરૂર પડશે. જોકે સંસદમાં આપેલા જવાબમાં કેન્દ્રએ એવો પણ દાવો કર્યો હતો કે જો ભવિષ્યમાં સિંગલ ડોઝની રસી આપવામાં આવે તો 188 કરોડ ડોઝની જરૂર નહીં પડે. હાલ રસીના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં કદાચ એક જ ડોઝ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ સરકારે વ્યક્ત કરી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zhI5Kb
via IFTTT
ટિપ્પણીઓ નથી: