કર્ણાટકમાં સરકાર ઉથલાવવામાં પીગાસસ જાસૂસીનો હાથ : સંસદમાં હોબાળો


જાસુસી કાંડ મુદ્દે સંસદ બીજા દિવસે પણ ઠપ, સુપ્રીમની આગેવાનીમાં તપાસની માગ

ફોન ટેપિંગનો વિવાદ નિરાધાર, અમે માનહાનિનો દાવો કરીશું : પીગાસસની એનએસઓ કંપનીનો દાવો

જાસૂસી માટે કંપનીને પૈસા કોણે આપ્યા તેનો મોદી સરકારે જવાબ આપવો જોઇએ : સુબ્રમણ્યમ સ્વામી ફ્રાંસ પીગાસસ જાસૂસી કાંડની તપાસ કરશે, લોકોની પ્રાઇવેસી ખતરામાં હોવાની ચકાસણી પણ કરશે

નવી દિલ્હી : પીગાસસ સ્પાઇવેરથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, જાણીતા રાજકીય નિષ્ણાત પ્રશાંત કિશોર સહિત અનેક ભારતીયોના ફોન ટેપ કરાયાના અહેવાલોથી સંસદ સતત બીજા દિવસે પણ ઠપ રહી હતી. માત્ર કોંગ્રેસ જ નહીં ભાજપના નેતા દ્વારા પણ સમગ્ર મામલે કેન્દ્ર પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા કપીલ સિબ્બલે શ્વેતપત્ર બહાર પાડવા અને સુપ્રીમ કોર્ટની આગેવાનીમાં તપાસની માગણી કરી છે. જ્યારે કર્ણાટકમાં તત્કાલીન કોંગ્રેસ અને જેડીએસની સરકાર ઉથલાવવામાં પણ પીગાસસ જાસુસી કાંડ જવાબદાર હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

જ્યારે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે પીગાસસ સ્પાઇવેર એક કંપની છે કે જે પેઇડ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. જેથી સવાલ એ થાય છે કે આ કંપનીને ભારતીય નેતાઓના ફોન ટેપિંગ માટે કોણે પૈસા આપ્યા? જો આ પૈસા ભારતીય સરકારે ન આપ્યા હોય તો કોણે આપ્યા? મોદી સરકારની એ જવાબદારી બને છે કે તે સમગ્ર મામલે દેશની જનતા સામે સ્પષ્ટતા કરે. 

બીજી તરફ સંસદમાં સતત બીજા દિવસે આ મામલે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષે રાજ્યસભા અને લોકસભામાં પીગાસસ ફોન ટેપિંગ મામલે ચર્ચા કરાવવા અને સંસદીય સમિતી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી કરી હતી. જ્યારે સરકારનો દાવો છે કે અમારો આમા કોઇ જ હાથ નથી અને જાસુસી કરાવી હોવાના દાવા જુઠા છે.

સંસદની મંગળવારે કાર્યવાહી શરૂ થતા જ મોટા ભાગના વિરોધ પક્ષોના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને કેન્દ્ર સરકાર પર પીગાસસની મદદથી વિપક્ષના નેતાઓની જાસુસી કરાવવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ, સપા, તૃણમુલ કોંગ્રેસ, ડીએમકે વગેરે સાંસદો બેનરો સાથે સંસદમાં જોવા મળ્યા હતા. જોકે સ્પીકર ઓમ બિરલાએ સંસદમાં આ મામલે ચર્ચાની માગણીને સ્વિકારવાની ના પાડી દીધી હતી. 

પીગાસસ ફોન ટેપિંગમાં દિવસે ને દિવસે નવા ખુલાસા થઇ રહ્યા છે. અગાઉ રાહુલ, પ્રશાંત કિશોર સહિત 300 ભારતીયોના ફોન ટેપિંગ થયાનો ખુલાસો થયો હતો. જ્યારે હવે દાવો કરાઇ રહ્યો છે કે કર્ણાટકમાં પણ કોંગ્રેસ અને જેડીએસની સરકાર સાથે જોડાયેલા ફોન 2019મા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર 2019માં કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર સાથે જોડાયેલા ફોન ટેપિંગ અને બાદમાં ભાજપની સરકાર બનવામાં આ કથીત જાસુસી કાંડ પણ સંકળાયેલો છે. તત્કાલીન ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વર અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી તેમજ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારામૈયાના અંગત સચિવોના ફોન નંબર મુખ્ય ટાર્ગેટ હતા. 

બીજી તરફ પીગાસસના ઇઝરાયેલના એનએસઓ ગુ્રપનું કહેવું છે કે અમે આ પ્રકારના સોફ્ટવેર માત્ર સરકારોને જ વેચીએ છીએ. સમગ્ર વિવાદ વચ્ચે હવે ફ્રાંસમાં પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

ફ્રાંસ સરકારે મીડિયાકર્મીઓના ફોન ટેપિંગ મામલે 10 જુદા જુદા બિંદુઓેને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દીધી છે. જેમાં એ પણ તપાસ થશે કે શું ખરેખર પીગાસસ દ્વારા પ્રાઇવેસીનો ભંગ કરાઇ રહ્યો છે કે કેમ. અનેક આંતરરાષ્ટ્રીય મીડિયાકર્મીઓ પણ પીગાસસના ટાર્ગેટ પર હોવાના અહેવાલો બાદ આ તપાસ શરૂ કરાઇ રહી છે. 

ઇઝરાયેલની કંપની એનએસઓ ગુ્રપના પીગાસસ સ્પાઇવેર પર જાસુસીના આરોપો લાગ્યા છે ત્યારે કંપનીએ પોતાનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે અમારા પર લગાવાયેલા આરોપો જુઠા છે અને અમે તેને લઇને માનહાનીનો દાવો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. કોઇ અજ્ઞાાત સ્ત્રોત દ્વારા તથ્યાત્મક આધાર વગર જ આ માહિતી આપવામાં આવી છે. અમારા સર્વરથી કોઇ જ ડેટા લીક નથી થયા. બીજી તરફ ભારતમાં આ મામલે વિપક્ષે કેન્દ્રને ઘેરી છે.

કોંગ્રેસ નેતા કપીલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહના દાવાઓને નકાર્યા હતા જેમાં તેમણે દાવો કર્યો હતો કે ભારતની છાપ ખરાબ કરવા જાસુસી વિવાદ ચગાવાઇ રહ્યો છે. ક્રોનોલોજી વાળા નિવેદનને ટાંકીને કપીલ સિબ્બલે કહ્યું હતું કે અમિત શાહજી તમે ક્રોનોલોજી સમજો, 2017થી 2019 દરમિયાન શું થયું તે તમે સમજો. આ સમગ્ર ઘટનાની સુપ્રીમ કોર્ટની આગેવાનીમા ંતપાસ થવી જોઇએ.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Bzby4q
via IFTTT

ટિપ્પણીઓ નથી: