યેદિયુરપ્પાના રાજીનામાની અટકળોથી કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા વચ્ચે યેદિયુરપ્પા તાબડતોબ દિલ્હીમાં મોદી, શાહ, નડ્ડાને મળ્યા
મને રાજ્યમાં પક્ષને મજબૂત કરવાની અને આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકો જીતાડવાની જવાબદારી સોંપાઈ: યેદિયુરપ્પા
યેદિયુરપ્પાએ 26મી જુલાઈએ વિધાનસભા પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક બોલાવ્યાની ચર્ચા
યેદિયુરપ્પાએ રાજીનામાના બદલામાં કેબિનેટમાં પુત્રના સમાવેશની માગણી કરી : નવા સીએમ તરીકે પ્રહ્લાદ જોશીનું નામ સૌથી આગળ
નવી દિલ્હી : કર્ણાટકમાં લાંબા સમયથી નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ તાબડતોબ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શનિવારે પક્ષપ્રમુખ જેપી નડ્ડા તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લેતાં તેમના રાજીનામાની અટકળો ફેલાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 78 વર્ષીય યેદિયુરપ્પાએ ખરાબ સ્વાસ્થ્યના પગલે રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે 26મી જુલાઈએ વિધાનસભા પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક બોલાવી છે. જોકે, યેદિયુરપ્પાએ રાજીનામું આપવાની અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે રાજીનામાની અટકળોથી વિપરિત પક્ષે તેમને રાજ્યની આગામી ચૂંટણીમાં વધુ બેઠકોથી જીતવાની જવાબદારી સોંપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વધતી જતી ઉંમર અને ખરાબ તબિયતના લીધે હવે તેમનું મુખ્યમંત્રી બની રહેવું શક્ય નથી. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન તેમણે વધતી જતી ઉંમર અને ખરાબ તબિયતના લીધે રાજીનામુ આપવાની દરખાસ્ત કરી હતી. તેમણે આજે ભાજપના વડા જેપી નડ્ડાની પણ મુલાકાત કરી હતી. અહીં પણ યેદિયુરપ્પાએ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
જોકે, 78 વર્ષના યેદિયુરપ્પાએ તેમના દિલ્હી પ્રવાસને સફળ ગણાવ્યો હતો. કેન્દ્રીય નેતાગીરી સાથેની મુલાકાત પછી બેંગ્લુરૂ રવાના થતાં પહેલાં યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય નેતાગીરીએ તેમને મુખ્યમંત્રીપદે ચાલુ રહેવા જણાવ્યું છે અને કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ ચર્ચા થઈ નહોતી. યેદિયુરપ્પાએ તેમના રાજીનામાની વાતને ફગાવતા જણાવ્યું હતું કે તેમને રાજ્યમાં પક્ષને મજબૂત કરવા માટે જણાવાયું છે. તેની સાથે રાજ્યમાં યોજાનારી આગામી ચૂંટણીઓમાં જીત અપાવવાનું કહેવાયું છે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 2023માં યોજાશે. યેદિયુરપ્પાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પક્ષપ્રમુખ જેપી નડ્ડા, રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પક્ષની કેન્દ્રીય નેતાગીરી સાથેની દરેક મુલાકાતમાં પક્ષના રાજ્યમાં વિકાસ અને આગામી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને સત્તા અપાવવા પર ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાનની ફરજ હોય છે કે તેના રાજ્યના મુદ્દાઓ અંગે દિલ્હી સાથે ચર્ચા કરે અને તેનો નીવેડો લાવે. તેના જ સંદર્ભમાં હું ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ દિલ્હી આવીશ. જોકે, કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન અંગે સંકેતો આપતાં યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, પક્ષના હાઇકમાન્ડે તેમને આશ્વાસન આપ્યું છે કે કર્ણાટક ટૂંક સમયમાં આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાશે.
આ અંગે 26મી જુલાઈએ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક થશે. ત્યાં સુધી યેદિયુરપ્પા તેમના હોદ્દા પર રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ યેદિયુરપ્પાએ હાઇકમાન્ડ સામે શરત પણ મૂકી છે કે તેમના રાજીનામાના બદલામાં તેમના પુત્રને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે.
હવે સવાલ તે ઉઠે છે કે યેદિયુરપ્પા પછી કર્ણાટકનો આગામી મુખ્યમંત્રી કોણ હશે. એક બે દિવસમાં મુખ્યમંત્રીનું નામ પસંદ થઈ જશે. મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ નામ પ્રહાદ જોશીનું છે. તે મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન છે અને તેની સાથે ઉત્તર કર્ણાટકના સાંસદ છે. બીજુ નામ બીએલ સંતોષનું છે.
તેઓ સંગઠનમાં લાંબા સમય સુધી મંત્રી રહ્યા છે અને હાલમાં તે રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે. તે બહુ સારા વહીવટકર્તા મનાય છે. આ ઉપરાંત ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સવદી, ભાજપ નેતા મુર્ગેશ નિરાળી અને વસવરાજ એતનાલ પણ મુખ્ય દાવેદાર છે. કર્ણાટકમાં લાંબા સમયથી યેદિયુરપ્પા સામે સૃથાનિક નેતાઓમાં અસંતોષ ફેલાયેલો છે. યેદિયુરપ્પા પક્ષમાંથી જ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3evUOAX
via IFTTT
ટિપ્પણીઓ નથી: