ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગની સમસ્યા, ઈજાગ્રસ્ત ગિલ ભારત પરત ફરશે, રિપ્લેસમેન્ટ તરીકે નામ નક્કી નથી


નવી દિલ્હી,તા.7.જુલાઈ.2021

ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયા બાદ હવે તેને ભારત પરત ફરવાનો આદેશ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે.

આ મામલામાં સત્તાવાર રીતે તો હજી સુધી બોર્ડ કે ટીમ મેનેજમેન્ટે કોઈ ખુલાસો નથી કર્યો પણ એવુ મનાય છે કે, ગિલને ઈજામાંથી બહાર આવતા સમય લાગશે.

ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમ્યા બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં વેકેશન મનાવી રહી છે.એ પછી ટીમના સભ્યો ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ પહેલા ભેગા થશે.જોકે શુભમન ગિલ તેમાં સામેલ નહીં હોય .ક્રિકેટ વેબસાઈટના કહેવા પ્રમાણે યુવા બેટસમેનને ભારત પાછા ફરવા માટે કહેવાયુ છે.કારણકે શુભમન ગિલને પગમાં ઈજા થઈ છે.ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ રમવુ તેના માટે મુશ્કેલ છે.

જોકે બોર્ડ દ્વારા ગિલના રિપ્લેસમેન્ટ તરીકે બીજા કોઈ ઓપનરનુ નામ અપાયુ નથી.ભારતીય ટીમે એક વધારાના ઓપનરની માંગ કરેલી છે.બોર્ડના અધિકારીનુ કહેવુ છે કે, કોને ઈંગ્લેન્ડ મોકલવો તેનો નિર્ણય પસંદગીકારો પર છોડવામાં આવ્યો છે.આ રોલ માટે પૃથ્વી શોના વિકલ્પ તરીકે યુવા ઓપનર દેવદત્ત પડિક્કલનુ નામ ચર્ચામાં છે.આ બંને ખેલાડીઓ હાલમાં શ્રીલંકાના  પ્રવાસે છે.

ભારતીય ટીમ પાસે હાલમાં ઈંગ્લેન્ડમાં ઓપનર તરીકે રોહિત શર્મા, મયંક અગ્રવાલ અને કે એલ રાહુલ છે.બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરનને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે.જોકે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં નવોદિત ઓપનર પર દાવ લગાવવાના મૂડમાં નથી અને બીજી તરફ કે એલ રાહુલ પાસે પણ ટીમ મેનેજમેન્ટ ઓપનિંગ કરાવવા તૈયાર નથી.આ સંજોગોમાં ટીમ પાસે હવે રોહિત શર્માની સાથે ઓપનિંગમાં મોકલવા માટે મયંક અગ્રવાલનો જ વિકલ્પ હાલના તબક્કે મોજૂદ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hlGcpF
via IFTTT

ટિપ્પણીઓ નથી: