લોકશાહીમાં હિન્દુ અથવા મુસ્લિમોનું પ્રભુત્વ ન હોઈ શકે : ભાગવત

(પીટીઆઈ) ગાઝિયાબાદ, તા.૪
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રવિવારે ભારતમાં મુસ્લિમ ધર્મ જોખમમાં હોવાના ભયમાં નહીં ફસાવા મુસ્લિમોને હૈયાધારણ આપવાની સાથે કહ્યું કે, ભારતમાં રહેનારા બધા જ લોકોના ડીએનએ એક જ છે, પછી તેઓ ભલે ગમે તે ધર્મને અનુસરતા હોય. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે તેઓ અલગ છે જ નહીં. પ્રાર્થના કરવાની અલગ પદ્ધતિના આધારે લોકો સાથે ભેદભાવ થઈ શકે નહીં.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 'હિન્દુસ્તાની ફર્સ્ટ, હિન્દુસ્તાન ફર્સ્ટ' નામની થીમ પર મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે નેતાઓને લપડાક લગાવતા કહ્યું હતું કે, એવા કેટલાક કામ છે, જે રાજનીતિ કરી શકે તેમ નથી. દેશમાં નેતાઓ લોકોને એક કરી શકે તેમ નથી. રાજકારણ લોકોને એક કરવાનું સાધન બની શકતું નથી, પરંતુ દેશની એકતા ખતમ કરવાનું હથિયાર બની શકે છે. તેમણે ઉમેર્યું કે દેશમાં એકતા વિના વિકાસ શક્ય નથી અને એકતાનો આધાર રાષ્ટ્રવાદ તથા પૂર્વજોની મહિમા હોવો જોઈએ. હિન્દુ-મુસ્લિમ સંઘર્ષનો એકમાત્ર ઉકેલ ચર્ચા દ્વારા લાવી શકાય છે, વિખવાદ મારફત નહીં.
સંઘ પ્રમુખે કહ્યું કે એ બાબત સાબિત થઈ ગઈ છે કે આપણે ૪૦,૦૦૦ વર્ષથી એક જ પૂર્વજોના વંશજ છીએ. ભારતના લોકોના ડીએનએ એક જ છે. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એકતાની વાત ભ્રામક છે. બંનેના એક થવા માટે કશું જ નથી. હકીકતમાં તો તેઓ પહેલાથી જ એક સાથે છે. તેમણે ઉમેર્યું કે મુસ્લિમોએ એવા ભયમાં ફસાવાની કોઈ જરૂર નથી કે આપણા દેશમાં મુસ્લિમ ધર્મ પર સંકટ છે.
આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ. અહીં હિન્દુ અથવા મુસ્લિમોનું પ્રભુત્વ હોઈ શકે નહીં. અહીં માત્ર ભારતીયોનું જ પ્રભુત્વ હોઈ શકે છે. ગાયના નામે મોબલિંચિંગ કરનારાઓની ટીકા કરતાં ભાગવતે કહ્યું કે, ટોળા દ્વારા મારપીટ દ્વારા કરવામાં આવતી હત્યા એટલે કે મોબ લિંચિંગમાં જોડાનાર લોકો હિન્દુત્વના વિરોધી છે. તેમણે ઉમેર્યું કે કોઈ હિન્દુ એમ કહે કે અહીં કોઈ મુસ્લિમ ન રહેવો જોઈએ, તો તે વ્યક્તિ હિન્દુ નથી. ગાય એક પવિત્ર પ્રાણી છે, પરંતુ જે લોકો ટોળામાં અન્ય લોકોને મારી રહ્યા છે તેઓ હિન્દુત્વના વિરોધી છે. કાયદાએ કોઈપણ ભેદભાવ રાખ્યા વિના આ લોકો સામે કામ કરવું જોઈએ.
સંઘ પ્રમુખે તેમના વક્તવ્યની શરૂઆતમાં જ કહ્યું હતું કે, સંઘની કોઈ ઈમેજ મેકઓવર અથવા મતબેન્કના રાજકારણ માટે તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી નથી. સંઘ રાજકારણમાં નથી અથવા તેને સમાજમાં ફેલાયેલી કોઈ ઈમેજની તેને કશી પડી પણ નથી. સંઘ માત્ર રાષ્ટ્ર ઉત્થાન, દેશને મજબૂત બનાવવાનું અને સમાજના બધા જ વર્ગો માટે કલ્યાણકારી કામો કરવાનું તેનું કામ કરી રહ્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hgmzPR
via IFTTT
ટિપ્પણીઓ નથી: