આજથી સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહેવાની સંભાવના

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૧૮
ભારતીય લોકતંત્રના મંદિર એવા સંસદમાં સોમવારથી ચોમાસુ સત્રની શરૃઆત થશે. સરકારે ચોમાસુ સત્રમાં કેટલાક મહત્વના બિલ પસાર કરાવવાની તૈયારી કરી છે ત્યારે વિપક્ષ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા, કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારની નબળી કામગીરી, રસીકરણની ધીમી ગતિ, ફ્રાન્સમાં રાફેલ સોદાની તપાસ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરશે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં સરકાર દરેક મુદ્દાઓ પર સ્વસ્થ અને અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે તૈયાર હોવાનું કહ્યું હતું. બીજીબાજુ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગૃહમાં સરકારના કામકાજ અંગે રણનીતિ તૈયાર કરવા પણ બેઠક યોજાઈ હતી.
સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ બેઠકમાં ગૃહના વિવિધ નેતાઓને નિયમાનુસાર અને પ્રક્રિયા હેઠળ દરેક મુદ્દાની અર્થપૂર્ણ અને સ્વસ્થ ચર્ચા કરવા માટે સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું. ચોમાસુ સત્ર પૂર્વે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં ૩૩ પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકના પ્રતિનિધિઓના સૂચનો વિશેષરૃપે વિપક્ષના સૂચનો ઘણા જ મૂલ્યવાન હોય છે, કારણ કે તે ચર્ચાને સમૃદ્ધ બનાવે છે. સંસદીય સત્રના પહેલા દિવસે વડાપ્રધાન મંત્રીમંડળમાં સમાવેશ કરાયેલા નવા મંત્રીઓને ગૃહ સમક્ષ રજૂ કરશે.
સર્વપક્ષીય બેઠક ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એનડીએની બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. ઉપરાંત એનડીએના સાથી પક્ષોના નેતાઓએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં ચોમાસુ સત્ર માટે ગૃહની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. ચોમાસુ સત્ર ૧૩મી ઑગસ્ટ સુધી ચાલશે.
દરમિયાન વિપક્ષે પણ ચોમાસુ સત્ર માટેની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાનના અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠક પછી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેની પહેલ પર વિપક્ષના નેતાઓની પણ અલગથી એક બેઠક યોજાઈ હતી. વિપક્ષની બેઠકમાં મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો, ખેડૂત આંદોલન અને કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારના મીસ મેનેજમેન્ટ જેવા મુદ્દાઓને જોરશોરથી ઊઠાવવાનો નિર્ણય લેવાયો છે.
વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસ ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ સોદા અંગે ફ્રાન્સમાં શરૃ થયેલી તપાસનો મુદ્દો પણ ઊછાળશે. ઉપરાંત વિપક્ષ સરકાર પર વિવિધ બિલને ઉતાવળે પસાર કરાવવાના બદલે તેને સંસદની સ્થાયી સમિતિ સમક્ષ મોકલવા માટે દબાણ કરશે.
બીજીબાજુ નવા કૃષિ કાયદા મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોએ પણ સંસદના સત્ર દરમિયાન સંસદ બહાર દેખાવો કરવાનો નિર્ણય કર્યો છે. પરિણામે સોમવારથી આ સત્ર તોફાની બની રહેવાની શક્યતા છે. ચોમાસુ સત્ર દરમિયાન કોરોના સંબંધિત પ્રોટોકોલ્સનું સંપૂર્ણ પાલન કરાશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે. સરકારી આંકડા મુજબ લોકસભામાંથી ૪૪૪ સભ્યો અને રાજ્યસભાના ૨૧૮ સભ્યોએ કોરોનાની રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3imTYrB
via IFTTT
ટિપ્પણીઓ નથી: