લઘુ ખેડૂત બને દેશની શાન, વડાપ્રધાને આપ્યો 80% ખેડૂતોના ઉત્થાનનો નારો


- દરેક પ્રોડક્ટ સાથે ફક્ત કંપનીનું નામ નથી જતું, તેના સાથે દેશની ઈમેજ જોડાયેલી હોય છે. દરેક પ્રોડક્ટ દેશની બ્રાન્ડ એમ્બેસેડર છેઃ વડાપ્રધાન

નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ, 2021, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી લઘુ ખેડૂતોને મજબૂત બનાવવાનો નારો આપ્યો હતો. વડાપ્રધાને લઘુ ખેડૂતોને દેશની શાન બનાવવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગામડાઓમાં જમીન ઘટી રહી છે. 80 ટકા ખેડૂતો પાસે 2 હેક્ટર કરતા પણ ઓછી જમીન છે. લોકોની વસ્તી વધી રહી છે. મતલબ કે તેઓ લઘુ ખેડૂત બની ગયા છે. 

ખેડૂતો પર જેટલું ધ્યાન અપાવું જોઈએ તે નથી બની શક્યું. સરકારનું લક્ષ્ય બધા સુધી સસ્તી લોન, ક્રેડિટ કાર્ડ, પાક વીમો, બ્લોક સ્તરે વેરહાઉસ સુવિધા, મંડી, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના પહોંચાડવાનું છે. લઘુ ખેડૂતોની સામૂહિક શક્તિ વધારવી પડશે. 70 કરતા વધારે રેલ માર્ગો પર કિસાન રેલ ચાલી રહી છે. 

વડાપ્રધાને જણાવ્યું કે, આગામી વર્ષોમાં લઘુ ખેડૂતોને મજબૂત બનાવવા માટે આપણે સામૂહિક પ્રયત્નો કરવા પડશે. આપણે તેમને નવી સુવિધા આપવી પડશે. તેમને કોઈ પણ સંજોગોમાં દેશનું ગૌરવ બનાવવા પડશે. વડાપ્રધાને 80 ટકા ખેડૂતોના ઉત્થાનનો નારો આપીને કહ્યું કે, 'લઘુ ખેડૂત બને દેશની શાન.' 

વધુમાં કહ્યું કે, દેશના લોકોએ આગામી પેઢીના પાયાના ઢાંચા, વિશ્વસ્તરીય નિર્માણ, અત્યાધુનિક નવીનતા, નવા જમાનાની ટેક્નોલોજી માટે કામ કરવું પડશે. જે પણ બનાવો, બેસ્ટ બનાવો, જે વૈશ્વિક સ્તરે ટકી શકે. દરેક પ્રોડક્ટ સાથે ફક્ત કંપનીનું નામ નથી જતું, તેના સાથે દેશની ઈમેજ જોડાયેલી હોય છે. દરેક પ્રોડક્ટ દેશની બ્રાન્ડ એમ્બેસેડર છે. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દેશએ સંકલ્પ લીધો છે કે, આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદેભારત ટ્રેન દેશના દરેક ખૂણાને એકબીજા સાથે જોડતી હશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાન યોજના દૂર-દૂરના ક્ષેત્રોને જોડી રહી છે તે પણ અભૂતપૂર્વ છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AKwTqk
via IFTTT

ટિપ્પણીઓ નથી: