અફઘાનિસ્તાન પર કબજો જમાવી ચુકેલા તાલિબાને ભારતીય પ્રોજેક્ટની પ્રશંસા કરી, પરંતુ સેના મોકલવા અંગે ચેતવ્યા


- તાલિબાની પ્રવક્તાએ ગુરૂદ્વારા પરથી નિશાન સાહિબ દૂર કરવા અંગે કહ્યું કે, શીખ સમુદાયના લોકોએ જ તેને દૂર કર્યું હતું. 

નવી દિલ્હી, તા. 14 ઓગષ્ટ, 2021, શનિવાર

અફઘાનિસ્તાનમાં એક પછી એક મહત્વના શહેરો પર તાલિબાન કબજો જમાવી રહ્યું છે. કાબુલની સાવ નજીક પહોંચી ગયેલા તાલિબાને અફઘાનિસ્તાનમાં ભારતની પરિયોજનાઓ અંગે કહ્યું કે, અમે અફઘાનિસ્તાનના લોકો માટે ભારત દ્વારા કરવામાં આવેલા દરેક કામની પ્રશંસા કરીએ છીએ.

તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને જણાવ્યું કે, અમે બાંધ, રાષ્ટ્રીય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને એવી દરેક પરિયોજનાની પ્રશંસા કરીએ છીએ જે અફઘાનિસ્તાનના વિકાસ, પુનર્નિર્માણ અને લોકોની આર્થિક સમૃદ્ધિ માટે છે. 

જો ભારત સેના મોકલશે તો...

તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીને જણાવ્યું કે, ભારત જો અફઘાનિસ્તાનમાં સેના મોકલશે તો મને લાગે છે કે તે તેમના માટે સારૂ નહીં ગણાય. ભારતે અફઘાનિસ્તાનમાં અન્ય દેશોની સૈન્ય ઉપસ્થિતિની હાલત જોઈ છે. આ એમના માટે ખુલ્લી કિતાબ જેવી વાત છે. અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરૂદ્ધ ન થવા દેવા સંબંધી આશ્વાસન સાથે સંકળાયેલા સવાલના જવાબમાં તાલિબાની પ્રવક્તાએ તેમની એક સામાન્ય નીતિ છે તેમ કહ્યું હતું. 

તાલિબાની પ્રવક્તાએ કહ્યું કે, તેઓ પાડોશી દેશની સાથે જ કોઈ પણ દેશ વિરૂદ્ધ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવા માટે પ્રતિબદ્ધ છે. તાલિબાની પ્રવક્તાએ ભારતીય ડેલિગેશન સાથેની મુલાકાતના સમાચારો અંગે તેની પૃષ્ટિ નહીં કરી શકે તેમ કહ્યું હતું. જોકે દોહા ખાતે તેમની બેઠકમાં ભારતનું ડેલિગેશન પણ હતું તેમ જણાવ્યું હતું. સાથે જ જ્યાં સુધી તેમને ખબર છે ત્યાં સુધી ભારતીય ડેલિગેશન સાથે અલગ બેઠક નથી થઈ તેમ પણ કહ્યું હતું. 

શીખોએ જ હટાવ્યું હતું નિશાન સાહિબ

તાલિબાની પ્રવક્તાએ ગુરૂદ્વારા પરથી નિશાન સાહિબ દૂર કરવા અંગે કહ્યું કે, શીખ સમુદાયના લોકોએ જ તેને દૂર કર્યું હતું. વધુમાં જણાવ્યું કે, તેમના અધિકારીઓએ ત્યાં જઈને શીખ સમુદાયના લોકોને આશ્વાસન આપ્યું હતું કે, ઝંડો જોઈને તેમને કોઈ પરેશાન નહીં કરે. ત્યાર બાદ શીખ સમુદાયના લોકોએ ગુરૂદ્વારા પર ફરીથી નિશાન સાહિબ લહેરાવ્યો હતો. 

તાલિબાની પ્રવક્તાએ પાકિસ્તાનના આતંકવાદી સમૂહ સાથે ઘનિષ્ઠ સંબંધોના આરોપો ફગાવી દીધા હતા અને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. સાથે જ તેઓ કોઈ દેશના દૂતાવાસ કે રાજદ્વારીને ટાર્ગેટ નહીં કરે તેવી સ્પષ્ટતા કરી હતી. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jQUa33
via IFTTT

ટિપ્પણીઓ નથી: