ઓબીસી અનામત બિલ લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પસાર : આજે રાજ્યસભામાં ચર્ચા થશે


નવી દિલ્હી, તા.૧૦

રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર આપતું ઓબીસી અનામત બિલ મંગળવારે લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પસાર થઈ ગયું હતું. ચોમાસુ સત્રમાં લોકસભામાં પહેલી વખત જોવા મળ્યું કે કોઈ બિલ પર સરકાર પોતાની વાત કહેતી રહી અને વિપક્ષી સાંસદો કોઈપણ હોબાળો, શોરબકોર કે સૂત્રોચ્ચાર કર્યા વિના પોતાની સીટ પર બેસીને ચૂપચાપ સાંભળતા રહ્યા. ૧૨૭મા બંધારણીય સુધારા બિલ મારફત રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર મળશે. આ બિલ લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પસાર થઈ ગયું. મતવિભાજન સમયે બિલની તરફેણમાં ૩૮૫ મત પડયા જ્યારે વિરોધમાં કોઈ મત પડયો નહીં. 

લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સંબંધિત 'બંધારણીય (૧૨૭મો સુધારો) બિલ, ૨૦૨૧' પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે ગૃહમાં આ બંધારણિય સુધારા ખરડાની તરફેણમાં બધા જ પક્ષના સાંસદોનું મળેલું સમર્થન સ્વાગત યોગ્ય છે. આ બિલ પાસ થયા પહેલાં તેના પર બધા જ પક્ષોએ વ્યાપક ચર્ચા કરી હતી. 

સરકારે જણાવ્યું કે આ બિલ આવ્યા પછી રાજ્ય સરકારોને પોતાની ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર મળી જશે અને મરાઠા અનામત જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર થઈ જશે. કોંગ્રેસ સહિત બધા જ વિપક્ષોએ આ ખરડાનું સમર્થન કર્યું હતું. સાથે જ વિપક્ષે અનામત પર ૫૦ ટકાની મર્યાદા દૂર કરવાની પણ માગણી રજૂ કરી હતી.

વિપક્ષના સાંસદોના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી વીરેન્દ્ર કુમારે કહ્યું કે ભાજપની નીતિ અને નિયત એકદમ સ્પષ્ટ છે. તે સમાજમાં દરેક પછાત વર્ગોના વિકાસ માટે કામ કરે છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, ૨૦૧૮માં ૧૦૨મુ બંધારણીય સુધારા બિલ લવાયું હતું. તમે ઓબીસી કમિશન બનાવ્યું, પરંતુ રાજ્યોના અધિકારોનો ભંગ કર્યો હતો. બહુમતની બાહુબલીથી તમે ગૃહમાં મનમાની કરી રહ્યા છો. જોકે, પ્રદેશોમાંથી અવાજ ઉઠવા લાગતા તમે મજબૂરીથી આ રસ્તે આવ્યા છે. અમે આ બિલનું સમર્થન કરીએ છીએ. સાથે જ અમે અનામત પરની ૫૦ ટકા મર્યાદા દૂર કરવાની પણ માગણી કરીએ છીએ.

ઓબીસી બિલની સાથે લોકસભામાં વિપક્ષના વિરોધ વ ચ્ચે સરકારે અન્ય બે બિલ પણ પસાર કરાવી દીધા હતા. સરકાર હવે ઓબીસી અનામત બિલ બુધવારે રાજ્યસભામાં રજૂ કરે તેવી સંભાવના છે, જ્યાં આ બિલ પસાર થયા પછી કાયદો બનશે અને રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો સંપૂર્ણ અધિકાર મળશે. ૧૨૭મા બંધારણીય સુધારા બિલ (અનામત બિલ) પસાર થયા પછી વિપક્ષે ફરીથી હોબાળો શરૃ કરી દેતાં લોકસભાની કાર્યવાહી મુલતવી રખાઈ હતી.

દરમિયાન રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો યથાવત્ રહ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ ત્રણ કૃષિ કાયદા પરત લેવાની માગણી કરતાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો અને સાંસદો વેલમાં ધસી ગયા હતા. કેટલાક સાંસદો ટેબલ પર ચઢી ગયા અને કૃષિ કાયદાની નકલો હવામાં લહેરાવી હતી. સંસદનું ચોમાસુ સત્ર પૂરું થવાને હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ચોમાસુ સત્ર શરૃ થવાના આગલા દિવસે જ જાહેર થયેલા પેગાસસ વિવાદથી વિપક્ષે બંને સત્રમાં ભારે હોબાળો મચાવ્યો છે અને પેગાસસ જાસૂસી મુદ્દે ચર્ચાની માગણી કરી રહ્યો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Auw04R
via IFTTT

ટિપ્પણીઓ નથી: