ઉદ્ધવને લાફો મારવાનું કહેતા કેન્દ્રીય મંત્રી રાણેની ધરપકડ


20 વર્ષમાં ધરપકડ થઈ હોય તેવા નારાયણ રાણે પહેલા કેન્દ્રિય પ્રધાન

મોડી રાત્રે મહાડ સેશન્સ કોર્ટે રાણેને જામીન આપ્યા : મુંબઇ સહિત સંપૂર્ણ મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ

રાણેના બંગલા સામે તંગદિલી સર્જાતા પોલીસનો લાઠીચાર્જ

મુંબઇ : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કાન નીચે લાફો મારવો જોઇએ એવું  અપમાનજનક નિવેદન આપનારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સામે કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. રત્નાગિરીના સંગમેશ્વરમાં રાણેની ધરપકડ કરાતા રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો.

દરમિયાન રાણેની ધરપકડ અગાઉ જામીન અરજી સ્થાનિક કોર્ટે ફગાવી દીધી હતી. આથી મુંબઇ હાઇકોર્ટમાં ગયા હતા ત્યાં પણ જામીન અરજી પર સુનાવણી કરવાની ના પાડવામાં આવી હતી. આમ રાણેને તાત્કાલિક રાહત મળી નહોતી. જો કે મોડી રાત્રે તેમને જામીન મળી ગયા હતા.

બીજી તરફ રાણેના વિવાદાસ્પદ નિવેદનથી મુંબઇ સહિત સંપૂર્ણ મહારાષ્ટ્રમાં શિવસેના અને  ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચે વિવિધ સ્થળે અથડામણ થઇ હતી. જુહૂમાં રાણેના બંગલા પાસે તો પોલીસને હળવો  લાઠીચાર્જ પણ કરવો પડયો હતો. દરમિયાન પાંચ જણ અને બે પોલીસ જખમી થયા હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રમાં ભાજપા દ્વારા જન આશિર્વાદ યાત્રા વખતે કોરોનાના નિયમનું પાલન ન કરાતા વિવાદ શરૂ છે.

કેન્દ્રીય મંત્રીની રાણેની  યાત્રા બદલ પોલીસમાં આશરે 42 કેસ દાખલ કરાયા છે. આ યાત્રા વખતે રાણે શિવસેનાના સુપ્રિમો બાળા સાહેબ ઠાકરેની સમાધી ખાતે ગયા હતા. પછી શિવસૈનિકોએ સ્થળનું દૂધ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કર્યું હતું. આમ છેલ્લા થોડા સમયથી ભાજપા અને શિવસેના  વચ્ચે પરિસ્થિતિ વધુ તનાવપૂર્ણ બની ગઇ હતી.

બીજી તરફ સ્વાતંત્ર્ય દિનના ભાષણ પરથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે ટીકા કરતા  રાણેએ કાન નીચે લાફો  મારવાની વાત કરી હતી. જેને લીધે શિવસૈનિકો રોષે ભરાયા હતા. તેમણે રાજ્યભરમાં આંદોલન કર્યું હતું. નાશિકમાં ભાજપના ઓફિસમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો.  યુવાસેનાના કાર્યકર્તોએએ  મુંબઇમાં જુહૂમાં રાણેના બંગલો બહાર જોરદાર ઘોષ્ણાબાજી કરી હતી.

તેમણે બળજબરીથી બંગલામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓની એકબીજા સાથે અથડામણ થતા પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો. ત્યારે પોલીસ અને અમૂક જણને નજીવી ઇજા થઇ હોવાની ચર્ચા થઇ રહી છે. પુણેના રાણેના મૉલમાં પથ્થરમારો કરી તોડફોડ કરાતા મોટા પ્રમાણમાં નુકસાન  થયું હતું.

મીરા-ભાઇંદર, વસઇ, વિરાર, નાલાસોપારામાં પણ રાણે વિરોધ આંદોલન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ રાણે સામે કેસ નોંધવાની માગણી કરી હતી. નાલાસોપારા (પૂર્વ)માં નજીક તુળીંજમાં શિવસૈનિકોએ રાણેના ફોટાને ચપ્પલ મારીને અશ્લીલ ઘોષણાઓ કરી હતી. વસઇ-વિરારમાં રાણેની એક પણ સભાની મંજૂરી નહીં આપવાનું આક્રમક બની ગયેલા શિવસૈનિકોએ કહ્યું હતું. મીરારોડમાં પણ રાણેના ફોટોને કાળી સહી લગાડવામાં આવી હતી.

દાદરમાં રાણેના વિરોધમાં પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. પોલીસે આ પોસ્ટર કાઢી લીધા હતા. પણ આ  પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.  એમાં રાણેના ફોટોની સાથે વ્યક્તિગત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરાયો હતો. કણકવલીમાં રાણેના પ્રતિકાત્મક પૂતળાને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે આ પૂતળાને લઇ લીધુ ંહતું. તે સમયે  પોલીસ અને શિવસૈનિકો વચ્ચે બોલાચાલી થઇ હતી.

ચિપલૂણમાં વાલોપેથી થી  બહાદુર શેખ નાકા પાસે રાણે આવ્યા ત્યારે શિવસૈનિકોએ તેમના વિરોધમાં ઘોષણાઓ કરી હતી. ભાજપના કાર્યકર્તાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાંગલીમાં શિવસૈનિકોએ રસ્તારોકો કર્યો હતો. વાશિમમાં મુખ્ય  પાટણી ચૌકમાં મરઘા બતાવીને ઘોષણા કરનારાને પોલીસે તાબામાં લીધા હતા.

ધુળેમાં રાણેની પ્રતિકાત્મક અંતિમયાત્રા શિવસેનાની ઓફિસથી મહાનગર પાલિકાના કાર્યાલય સુધી લઇ જવામાં આવી  હતી. ભાજપા કાર્યકર્તાઓએ પણ પથ્થરમારાનો પ્રયત્ન અને શિવસૈનિકોએ લાકડીથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જાલના અને બીડમાં પણ આંદોલનકર્તાએ રાણે દ્વારા માફી માગવામાં આવે એવી માગણી કરી હતી. મહારાષ્ટ્રમાં કાયદો અને સુવ્યવસ્થા જળવાય રહે માટે જુદા જુદા સ્થળે પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

કલ્યાણમાં ઉશ્કેરાયેલા શિવસૈનિકોએ ભાજપાની ઓફિસમાં પથ્થરો મારીને કાચની તોડફોડ કરી હતી. ભાજપાના કાર્યકર્તાઓની મારપીટ કરાય હતી. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે મહાડ સેશન્સ  કોર્ટે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને મોડી રાત્રે જામીન મંજુર કર્યા હતા. રાણેની ધરપકડ કર્યા બાદ મહાડની કોર્ટમાં તેમને હાજર કરવામાં આવ્યા  હતા. અને કોર્ટે તેમની જામીન મંજુર કર્યા હતા.

વિધાનસભ્ય,સાંસદ કે મંત્રીની ધરપકડથી બંધારણીય જોગવાઈનો ભંગ થતો નથી

મુંબઈ : ભાજપના કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ નારાયણ રાણેની મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે કરેલી ટિપ્પણી બદલ ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાનની ધરપકડ બહુ મોટી વાત છે તેના અંગેની કાયદાકીય જોગવાઈ શું કહે છે તે જોઈએ. 

ભારતીય દંડસંહિતાની જોગવાઈઓ હેઠળ કાયદાના નિયમનો ભંગ કરનારા સામે રાજ્યની એજન્સી ધરપકડ કરી શકે છે. દેશના બધા નાગરિકો કાયદાનું પાલન કરવા બંધાયેલા છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, ગવર્નર, રાષ્ટ્રપતિ, ચૂંટણી કમિશ્નર, યુપીએસસીના ચેરમેન  જેવા બંધારણીય હોદ્દાઓ પર બિરાજતી વ્યક્તિઓની સામે ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી.

પણ મંત્રી કે કેન્દ્રીય પ્રધાન આ પ્રકારના વિશેષાિધકારની શ્રેણીમાં આવતા નથી. તેમની ધરપકડ થાય તો બંધારણીય જોગવાઈનો ભંગ થતો નથી.  નાશિકમાં શિવસેનાના નેતા સુધાકર બડગુજરે મહાડ પોલીસ સ્ટેશનમાં નારાયણ રાણે સામે ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં સુધાકરે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી પદના બંધારણીય હોદ્દા પર છે. તેમનું અપમાન સમગ્ર રાજ્યનું અપમાન છે.

રાણેએ ભાજપની જનઆશીર્વાદ યાત્રા દરમિયાન જણાવ્યું હતું કે તે બાબત શરમજનક છે કે મુખ્યમંત્રીને તે ખબર નથી કે આઝાદીને કેટલા વર્ષ થઈ ગયા. ભાષણ દરમિયાન તે આની વિગત પાછળ પૂછતા નજરે આવી રહ્યા હતા. હું જો ત્યાં હોત તો જોરથી થપ્પડ મારત. રાણેએ ધરપકડથી બચવા માટે કોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો હતો, પરંતુ કોર્ટે તેમને તાત્કાલિક રાહત આપવા ઇન્કાર કર્યો છે અને યોગ્ય કાર્યપ્રણાલિને અનુસરવા કહ્યું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mwlkPp
via IFTTT

ટિપ્પણીઓ નથી: