મુરાદાબાદઃ ઝંડારોહણ બાદ રાષ્ટ્રગાન ભૂલ્યા, એક લાઈન ગાઈને ચાલતા થયા સપા સાંસદ ડૉ. એસટી હસન

- સપા સાંસદે મોડી રાતે રાષ્ટ્રગાન પ્રકરણ મુદ્દે પોતાની સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર રાષ્ટ્રગાન સંભળાવીને આપી
નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ, 2021, સોમવાર
રવિવારે દેશના 75મા સ્વતંત્રતા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ મુરાદાબાદથી સપા સાંસદ ડૉ. એસટી હસન ઝંડારોહણ બાદ ગવાતું રાષ્ટ્ર ગાન 'જન ગણ મન' ભૂલી ગયા હતા અને અધૂરૂ રાષ્ટ્રગાન ગાયા બાદ કશું બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા.
હકીકતે સપા સાંસદ એસ ટી હસન મુરાદાબાદના ગલશહીદ વિસ્તારમાં આવેલી સ્વતંત્રતા સંગ્રામ સેનાની નવાબ મજ્જૂ ખાંની કબર પર પુષ્પ ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા ગયા હતા. તે પહેલા ગલશહીદ પાર્કમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સપા સાંસદ ડૉ. એસટી હસને ત્યાં ઉપસ્થિત જિલ્લા અધ્યક્ષ ડીપી યાદવ, મહાનગર અધ્યક્ષ શાને અલી અને અન્ય કાર્યકરોની હાજરીમાં ઝંડારોહણ કર્યું હતું. ઝંડારોહણ બાદ તરત જ રાષ્ટ્રગાન શરૂ થયું હતું. પરંતુ તેમના સાથે ઉભેલા લોકો રાષ્ટ્રગાનની એક લાઈન ગાયા બાદ બાકીની પંક્તિઓ ભૂલી ગયા હતા.
અન્ય લોકોની તો વાત જ જવા દો, સપા સાંસદ ડૉ. એસ ટી હસન પણ રાષ્ટ્રગાન પૂરૂ ન કરી શક્યા અને કોઈ સાથે વાત કર્યા વગર ત્યાંથી જતા રહ્યા. પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સપા સાંસદે મોડી રાતે રાષ્ટ્રગાન પ્રકરણ મુદ્દે પોતાની સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર રાષ્ટ્રગાન સંભળાવીને આપતા કહ્યું કે, આઝાદીના 75મા જશ્નમાં મને કાર્યક્રમનો ચીફ ગેસ્ટ બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યાં રાષ્ટ્રગાન ગાવા માટેની બીજી ટીમ હતી. તેમણે ગાતા સમયે કશીક ગરબડ કરી દીધી. મેં ટોક્યા પણ હતા. ત્યાર બાદ પાછળ ઉભેલા લોકોએ રાષ્ટ્રગાન પૂરૂ કર્યું અને અમે ત્યાંથી નીકળી ગયા. પરંતુ લોકોએ એવું ફેલાવી દીધું કે, હું રાષ્ટ્રગાન ભૂલી ગયો, મારી યાદશક્તિ કમજોર નથી, બાળપણથી રાષ્ટ્રગાન ગાતો આવ્યું છું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sjZ5gA
via IFTTT
ટિપ્પણીઓ નથી: