આ મહિને કોરોનાની ત્રીજી લહેર શરૂ થશે, દૈનિક દોઢ લાખ કેસ આવશે


કોરોનાના કેસો હવે ફરી વધશે :  હૈદરાબાદ-કાનપુર આઇઆઇટીના સંશોધકોનો દાવો

ત્રીજી લહેર ઓક્ટોબરમાં પીક પર હશે, જોકે બીજી લહેર કરતા ઓછી ઘાતક હોવાનો પણ નિષ્ણાતોનો દાવો

24 કલાકમાં કોરોનાના દૈનિક 40 હજાર કેસ, 422 લોકોનાં મોત : પંજાબમાં તમામ ધોરણની સ્કૂલો શરૂ થઇ

દેશમાં રસીકરણનો આંકડો 50 કરોડ નજીક પહોંચ્યો, રાજ્યો પાસે હજુ પણ ત્રણ કરોડ ડોઝ પડયા છે : કેન્દ્ર

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર હજુ પુરી નથી થઇ ત્યાં ત્રીજી લહેર શરૂ થવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. સાથે દાવો કરવામાં આવ્યો છે કે ત્રીજી લહેરમાં દરરોજ એકથી દોઢ લાખ જેટલા કોરોનાના કેસ સામે આવશે. હૈદરાબાદ-કાનપુર આઇઆઇટીના નિષ્ણાતોએ એક સંશોધનના આધારે આ ચેતવણી જારી કરી છે.

બીજી તરફ કોરોનાના નવા 40 હજાર કેસ સામે આવ્યા છે જ્યારે 422 લોકોના મોત નિપજ્યા છે. એક્ટિવ કેસમાં 2766ના વધારા સાથે કુલ એક્ટિવ કેસ 4.13 લાખે પહોંચ્યા હતા.  ભારતમાં દૈનિક કેસો હજુ પણ 40 હજાર જેટલા સામે આવી રહ્યા છે. એવામાં હૈદરાબાદ અને કાનપુર આઇઆઇટીના મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનિંદ્ર અગ્રવાલની આગેવાનીમાં સંશોધનકર્તાઓના એક સંગઠને કોરોનાની ત્રીજી લહેરનો રિપોર્ટ તૈયાર કર્યો છે.

આ રિપોર્ટના આધારે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ભારતમાં હાલ ચાલી રહેલા ઓગસ્ટ મહિનામાં ફરી કેસોમાં વધારો થશે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે ત્રીજી લહેર કોરોનાની બીજી લહેર કરતા ઓછી જોખમકારક હશે. બીજી લહેરમાં કોરોનાના દૈનિક કેસો ચાર લાખને પાર પહોંચી ગયા હતા, જ્યારે ત્રીજી લહેરમાં દૈનિક કેસ એકથી દોઢ લાખ સામે આવી શકે છે. એટલે કે કોરોનાનો ખતરો હજુ પણ ટળ્યો નથી.

ત્રીજી લહેર ક્યારે પીક પર આવશે તે અંગે જણાવતા નિષ્ણાતોને કહ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં જ દૈનિક કેસો વધવા લાગશે અને ઓક્ટોબર મહિનામાં પીક પર હશે, એટલે કે બે જ મહિનામાં કોરોનાના કેસો ફરી મોટો ઉછાળો મારી શકે છે. જોકે નિષ્ણાતોના મતે કેરળ અને મહારાષ્ટ્ર કે જ્યાં હાલ દૈનિક કેસો સૌથી વધુ સામે આવી રહ્યા છે તે બન્ને રાજ્યોમાં જો સિૃથતિમાં સુધારો થાય તો દેશની સિૃથતિ પણ બદલાઇ શકે છે. 

આ પહેલા ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)માં મહામારી વિજ્ઞાાન અને સંક્રમક રોગોના વિભાગના પ્રમુખ ડો. સમીરન પાંડાએ એએનઆઇ સાથે વાતચીતમાં કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર આવશે તો તે ઓગસ્ટ મહિનાના અંતની આસપાસ આવી શકે છે. બીજી તરફ રસીકરણ ઝડપી બનાવી દેવાયું છે. અત્યાર સુધીમાં 49.64 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 3.14 કરોડ ડોઝ રાજ્યો પાસે ઉપલબૃધ છે.

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે પંજાબમાં સરકારે બધા જ ધોરણની સ્કૂલોને ખોલી નાખવાનો નિર્ણય લીધો છે. જેથી વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છે પણ માતા પિતાને કોરોનાની ચિંતા સતાવી રહી છે. બીજી ઓગસ્ટથી જ પંજાબમાં સ્કૂલોને ખોલી નખાઇ છે પણ માતા પિતાએ લેખીતમાં સમ્મતી આપવાની રહેશે અને સાથે જ દરેક સ્કૂલમાં કોરોના પ્રોટોકોલનું ચુસ્ત પાલન પણ કરવાનું રહેશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rNlNO3
via IFTTT

ટિપ્પણીઓ નથી: