પેગાસસ વિવાદમાં જાસૂસીના આરોપ સાચા હોય તો બાબત ગંભીર : સુપ્રીમ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૫
પેગાસસ જાસૂસી વિવાદમાં સંસદથી રસ્તા સુધી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે તે મુદ્દે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પહેલી વખત સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે અરજદારોની દલીલો સાંભળ્યા પછી કહ્યું કે આ રિપોર્ટ સાચા હોય તો આ આરોપો ખૂબ જ ગંભીર છે. બીજીબાજુ કપિલ સિબલે પણ આ બાબતને ગંભીર ગણાવતા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારવા મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરી હતી. આ કેસમાં સુનાવણી કરતાં મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણ અને ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે કપિલ સિબલને સવાલ કર્યો કે આ બાબત એટલી જ ગંભીર હોય તો બે વર્ષ સુધી તમે ક્યાં હતા? અને આ મુદ્દો અત્યારે જ કેમ ઊઠયો છે?
સુપ્રીમ કોર્ટે હાલ આ મુદ્દે સુનાવણી મંગળવાર પર મુલતવી રાખી છે. પેગાસસ જાસૂસી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ થઈ છે, જેમાં પેગાસસ જાસૂસી કાંડની સુપ્રીમ કોર્ટના નિરિક્ષણ હેઠળ એસઆઈટી તપાસની માગણી કરાઈ છે. સુપ્રીમ કોર્ટમાં નેતાઓ, એક્ટિવિસ્ટ, એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ પત્રકારો એન. રામ તથા શશિ કુમાર દ્વારા અરજીઓ દાખલ કરાઈ છે. સુપ્રીમ કોર્ટે બધા જ અરજદારોને તેમની અરજીઓની નકલ કેન્દ્રને આપવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજદાર પત્રકારો તરફથી હાજર થતાં વરિષ્ઠ વકીલ અરવિંદ દત્તરે કહ્યું કે સંપૂર્ણ અને વ્યક્તિગત પ્રાઈવસીના સંદર્ભમાં નાગરિકોની પ્રાઈવસી અંગે વિચાર કરવો જોઈએ. અન્ય એક અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને કહ્યું કે વર્તમાન કેસની ભયાનક્તા ઘણી મોટી છે અને આ કેસની સ્વતંત્ર તપાસ પર વિચાર કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબલે દલીલ કરી હતી કે પત્રકાર, સાર્વજનિક હસ્તીઓ, બંધારણીય ઓથોરિટી, અદાલતના અધિકારી, શિક્ષણવિદો બધા જ સ્પાયવેર દ્વારા ટાર્ગેટેડ છે. સરકારે આ મુદ્દે જવાબ આપવો જ પડશે કે આ સ્પાયવેર કોણે ખરીદ્યું હતું? હાર્ડવેર ક્યાં રખાયું હતું? સરકારે એફઆઈઆર કેમ નોંધાવી નથી? મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, પેગાસસ વિવાદમાં મીડિયા રિપોર્ટ સાચા હોય તો આ આરોપો ગંભીર છે તેમાં કોઈ શંકા નથી. પેગાસસ કાંડ પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે ૨૦૧૯માં પણ જાસૂસીના અહેવાલો આપ્યા હતા. આ સંદર્ભમાં વધુ માહિતી મેળવવા માટે કોઈ પ્રયાસ કરાયો હતો કે નહીં તેની માહિતી નથી. આ પ્રકારની ફરિયાદો માટે ટેલિગ્રાફ કાયદો છે.
કપિલ સિબલે કહ્યું કે, આ સ્પાયવેર માત્ર સરકારી એજન્સીઓને વેચવામાં આવે છે. એનએસઓ કંપની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આવે છે. પેગાસસ એક એવી દુષ્ટ અથવા કપટી ટેકનિક છે, જે આપણી માહિતી વિના આપણા જીવનમાં પ્રવેશ કરે છે, જે આપણા લોકતંત્રની નિજતા, ગૌરવ અને મૂલ્યો પર હુમલો છે. પત્રકાર પ્રાંજય ગુહા ઠકુરાતે દાખલ કરેલી અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરાઈ છે કે તે આ વિવાદ અંગેની તપાસ સંબંધિત બધી જ માહિતી જાહેર કરવા કેન્દ્રને નિર્દેશ આપે. તેમણે પોતાની અરજીમાં કહ્યંો છે કે પેગાસસની હાજરી ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અત્યંત પ્રતિકૂળ અસર કરશે. તેમણે ન્યાયતંત્રને સ્પાયવેર અથવા માલવેરના ઉપયોગને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કરવા વિનંતી કરી છે. પેગાસસના સંભવિત ટાર્ગેટ્સમાં પત્રકાર ઠકુરાતનું પણ નામ સામેલ છે. એક પીઆઈએલમાં જણાવાયું છે કે આ મિલિટ્રી સ્પાયવેર છે અને તેનો સામાન્ય નાગરિકો પર ઉપયોગ સ્વીકારી શકાય તેમ નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AfYcZq
via IFTTT
ટિપ્પણીઓ નથી: