અફઘાન મુદ્દે રાષ્ટ્રપતિ બાઈડન પર વરસ્યા ટ્રમ્પ, પુછ્યું- કેટલા આતંકવાદીઓને અમેરિકા લઈ આવ્યા?

- અત્યાર સુધી અમેરિકાએ જે 26,000 લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે તેમાંથી માત્ર 4,000 જ અમેરિકી
નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ, 2021, બુધવાર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન મુદ્દે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડન પર આકરો પ્રહાર કર્યો છે. ટ્રમ્પે વર્તમાન સરકારની અફઘાન નીતિને ફેઈલ ઠેરવી હતી, સાથે જ એવો સવાલ પણ કર્યો હતો કે, જો બાઈડન અફઘાનિસ્તાનમાંથી આતંકવાદીઓને અમેરિકા તો નથી લાવી રહ્યા ને?
એક નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો બાઈડને અફઘાનિસ્તાનને આતંકવાદીઓના હવાલે કરી દીધું અને આ રીતે સેનાને પાછી બોલાવીને હજારો અમેરિકીઓના જીવને જોખમમાં મુકી દીધો. ટ્રમ્પે સવાલ કર્યો હતો કે, અત્યાર સુધી અમેરિકાએ જે 26,000 લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે તેમાંથી માત્ર 4,000 જ અમેરિકી છે.
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ સવાલ કર્યો હતો કે, જો બાઈડને હજારો આતંકવાદીઓને તો એરલિફ્ટ નથી કરી લીધા ને, જે વિશ્વના અલગ-અલગ હિસ્સાઓમાં પહોંચી ગયા છે. જો બાઈડન કેટલા આતંકવાદીઓને અમેરિકામાં એરલિફ્ટ કરી લાવ્યા છે?
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને જ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોને પાછા લાવવાનો પ્લાન રજૂ કર્યો હતો, પરંતુ સરકાર બદલાયા બાદ જો બાઈડન પ્રશાસને તેમાં ઉતાવળ કરી અને આ વર્ષે 11 સપ્ટેમ્બરનો ટાર્ગેટ રાખી દીધો.
31 ઓગષ્ટ સુધીમાં નીકળશે અમેરિકા
અમેરિકાએ નક્કી કરી લીધું છે કે, 31મી ઓગષ્ટ સુધીમાં પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી કાઢી લેશે. રાષ્ટ્રપતિ જો બાઈડને પહેલેથી જ તેની જાહેરાત કરી છે અને તાજેતરની જી-7 બેઠકમાં પણ તેમણે અમેરિકાના પ્લાનને સૌ સામે રાખ્યો હતો.
જોકે, જરૂર પડશે તો કેટલાક સૈનિકોને 31મી ઓગષ્ટ બાદ પણ કાબુલ એરપોર્ટ પર રોકવામાં આવી શકે છે. જોકે બીજી બાજુ તાલિબાને પણ અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે કે, તે 31મી ઓગષ્ટ સુધીમાં પોતાના સૈનિકોને પાછા લઈ જાય. સાથે જ એમ પણ કહ્યું હતું કે, અમેરિકા અહીંથી અફઘાની લોકોને લઈ જવાનું બંધ કરે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38b7TMD
via IFTTT
ટિપ્પણીઓ નથી: