પશ્ચિમ બંગાળમાં હિંસાની સીબીઆઈ તપાસનો હાઈકોર્ટનો આદેશ

(પીટીઆઈ) કોલકાતા, તા.૧૯
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછીની હિંસા મુદ્દે મમતા સરકારને ગુરુવારે ફટકો પહોંચ્યો છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના ભવ્ય વિજય પછી રાજ્યમાં ફાટી નિકળેલી હિંસામાં ભોગ બનેલાઓની ફરિયાદો પણ નોંધાઈ નહીં હોવાના આક્ષેપો પૂરવાર થયેલા છે તેમ નોંધતા કલકત્તા હાઈકોર્ટે ગુરુવારે બળાત્કાર અને હત્યા સહિતના બધા જ જધન્ય ગૂનાઓના કથિત કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. વધુમાં ચૂંટણી પછીની કથિત હિંસાના બધા જ કેસની સ્વતંત્ર તપાસ માટે થયેલી એક પીઆઈએલની સુનાવણીમાં પાંચ જજોની બેન્ચે સર્વાનુમતે એસઆઈટીની તપાસનો આદેશ આપ્યો છે.
બંગાળમાં ચૂંટણી પછીની હિંસા મુદ્દે કલકત્તા હાઈકોર્ટે રાષ્ટ્રીય માનવાધિકાર પંચની પેનલની બધી જ ભલામણો પણ સ્વીકારી લીધી છે. વધુમાં કલકત્તા હાઈકોર્ટ દ્વારા નિયુક્ત ત્રણ સભ્યોની એસઆઈટીમાં પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારીઓ સુમન બાલા સાહૂ, સૌમેન મિત્રા અને રણવીર કુમારનો સમાવેશ થાય છે. આ એસઆઈટી હિંસા દરમિયાન લૂંટ, આગજની, તોડફોડ, હુમલા અને અન્ય કેસોની તપાસ કરશે.
કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલના નેતૃત્વમાં પાંચ સભ્યોની બેન્ચે કહ્યું કે બંને તપાસ અદાલતના નિરીક્ષણ હેઠળ થશે. બેન્ચે સીબીઆઈને આગામી છ સપ્તાહમાં તેનો તપાસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ સાથે જ અદાલતે રાજ્ય સરકારને હિંસા પીડિતોને કોઈપણ વિલંબ વિના વળતર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. વળતરની રકમ સીધી જ પીડિતોના બેન્ક ખાતામાં જમા કરવા જણાવાયું છે. ત્રીજી ઑગસ્ટે હાઈકોર્ટે હિંસા સંબંધિત જાહેર હિતની અરજીઓ પર તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો.
પાંચ જજોની બેન્ચમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ ઉપરાંત ન્યાયાધીશો આઈપી મુખરજી, હરિશ ટંડન, સૌમેન સેન અને સુબ્રતા તાલુકદારનો સમાવેશ થાય છે. બેન્ચના ચૂકાદામાં કહેવાયું છે કે હત્યા, બળાત્કાર, શંકાસ્પદ મોત સહિત અન્ય ગંભીર બાબતોની તપાસ સીબીઆઈ કરશે જ્યારે અપેક્ષાકૃત ઓછા મહત્વપૂર્ણ કેસોની તપાસ એસઆઈટી કરશે.
તપાસ સમિતિ તેનો રિપોર્ટ હાઈકોર્ટને આપશે. તેના માટે અલગથી એક બેન્ચની રચના કરવામાં આવી છે. એસઆઈટી તપાસનું નિરીક્ષણ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરશે. બેન્ચે રાજ્યમાં ચૂંટણી પછીની હિંસા દરમિયાન માનવાધિકાર ભંગની તપાસ માટે ૧૮ જૂને રાષ્ટ્રીય માનવાધિકાર પંચના ચેરમેનને એક વિશેષ સમિતિ બનાવીને તપાસનો આદેશ આપ્યો હતો. તપાસ સમિતિએ રિપોર્ટમાં મમતા બેનરજી સરકારને હિંસા માટે દોષિત ઠેરવી હતી.
પંચે પોતાની ભલામણમાં કહ્યું હતું કે બળાત્કાર અને હત્યા જેવા કેસોની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે અને આ કેસોની સુનાવણી બંગાળની બહાર થાય. સમિતિએ અન્ય કેસોની તપાસ પણ કોર્ટના નિરીક્ષણમાં એસઆઈટી મારફત કરાવવાની ભલામણ કરી હતી. માનવાધિકાર પંચના રિપોર્ટને સ્વીકારી લેતાં હાઈકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક હિંસા સંબંધિત કેસો સીબીઆઈને સોંપવા આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે કથિત હત્યાના કેટલાક કેસમાં રાજ્યની પોલીસે એફઆઈઆર પણ નોંધી નથી. આ બાબત દર્શાવે છે કે પૂર્વ-નિર્ધારિત માનસિક્તાથી તપાસને ચોક્કસ દિશામાં લઈ જવાઈ છે. પોલીસે અનેક કેસ નોંધ્યા નહીં હોવાનું જણાય છે અને કેટલાક કિસ્સામાં કોર્ટની દખલ પછી જ કેસ નોંધાયા હતા. બેન્ચે નોંધ્યું હતું કે, આ બાબત દર્શાવે છે કે રાજ્યમાં હિંસાના કેસ છૂટાછવાયા નથી અને પીઆઈએલમાં કરાયેલા આક્ષેપો કરતાં પરિસ્થિતિ વધુ ગંભીર છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/380auJk
via IFTTT
ટિપ્પણીઓ નથી: