પંજાબઃ સિદ્ધુના સલાહકારે કાશ્મીરને ગણાવ્યો અલગ દેશ, વિપક્ષે ઘેર્યા


- રાહુલ ગાંધીએ જવાબ આપવો જોઈએ કે, માલીનું આ નિવેદન શહીદોના પરિવારોનું અપમાન છે કે નહીં? 

નવી દિલ્હી, તા. 19 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

પંજાબ કોંગ્રેસના ચીફ નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મલવિંદર સિંહ માલીએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો આરોપ લગાવ્યા બાદ તેમણે દાવો કર્યો છે કે, કાશ્મીર એક અલગ દેશ હતો, ભારત અને પાકિસ્તાને તેના પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. કાશ્મીર, કાશ્મીરના લોકોનું છે. માલીએ આ વાતો ટ્વીટમાં લખી હતી. 

અકાલી દળના નેતા બિક્રમ મજીઠિયાએ માલીની ટ્વીટ પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે, માલીનું આ નિવેદન શહીદોના પરિવારોનું અપમાન છે. વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંધીએ જવાબ આપવો જોઈએ કે, માલીનું આ નિવેદન શહીદોના પરિવારોનું અપમાન છે કે નહીં? જો રાહુલ ગાંધી તેનાથી સહમત નથી તો પછી કોંગ્રેસનો સાચો ચહેરો સૌના સામે આવી જશે અને જો એવું નથી તો તેઓ સિદ્ધુ વિરૂદ્ધ શું એક્શન લેશે. અમરિંદર સિંહ પર પંજાબમાં પાકિસ્તાન મુદ્દે અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે પરંતુ સિદ્ધુ પાકિસ્તાનના આર્મી ચીફને ગળે લગાવતા નજર આવ્યા હતા. પાકિસ્તાન અને કોંગ્રેસ જોડે એકસરખું વર્તન થવું જોઈએ. 

ભાજપના નેતા વિનીત જોશીએ પણ માલીના નિવેદનની ટીકા કરી હતી અને માલી વિરૂદ્ધ એક્શનની માગણી કરી હતી. સાથે જ આ નિવેદન દ્વારા ખબર પડે છે કે એ લોકો પંજાબને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે તેમ પણ કહ્યું હતું. વધુમાં જણાવ્યું કે, અનેક લોકોએ કાશ્મીર માટે શહીદી વહોરી છે. તેમનું આ નિવેદન શહીદોના પરિવારનું અપમાન છે. 

સિદ્ધુએ માલીની ટ્વીટને લઈ કોઈ જ પ્રતિક્રિયા નથી આપી. જોકે સરકારના પ્રવક્તા અને મુખ્યમંત્રી અમરિંદર સિંહના અંગત એવા રાજકુમાર વરકાએ માલીને નફરત ન ફેલાવવાની સલાહ આપી અને પોતાને કાશ્મીર મુદ્દો સંવેદનશીલ લાગતો હોવાનું જણાવી કોઈએ પણ આવી કોમેન્ટ કરવાથી બચવું જોઈએ તેમ કહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે તેઓ જાણે છે કે, માલીએ આ નિવેદન કયા સંદર્ભમાં આપેલું પરંતુ તેમણે મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3D0bVFJ
via IFTTT

ટિપ્પણીઓ નથી: