મેઘાલયના CM કોનરાડ સંગમાના નિવાસ સ્થાને પેટ્રોલ બોમ્બ વડે હુમલો, શિલોંગમાં કર્ફ્યુ


- મેઘાલયમાં પૂર્વ વિદ્રોહી નેતા ચેરિશસ્ટારફીલ્ડ થાંગખ્યૂના મૃત્યુ બાદ હિંસા વધી રહી છે. 

નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ, 2021, સોમવાર

અજ્ઞાત બદમાશોએ રવિવારે રાતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાના નિવાસ સ્થાન પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, રાતે 10:15 કલાક આસપાસના સમયે વાહન પર સવાર ઉપદ્રવીઓએ ઉપરી શિલોંગના થર્ડ માઈલ ખાતે આવેલા મુખ્યમંત્રીના અંગત આવાસ પરિસરમાં પેટ્રોલ ભરેલી 2 બોટલ્સ ફેંકી દીધી હતી. જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને પણ ઈજાઓ નથી પહોંચી.

પહેલી બોટલ પરિસરના આગળના હિસ્સામાં જ્યારે બીજી બોટલ પાછળના હિસ્સામાં ફેંકવામાં આવી હતી. જોકે, ચોકીદારે તરત જ આગ બુઝાવી દીધી હતી. સ્વતંત્રતા દિવસ પર રાજ્યની રાજધાની અને આજુબાજુના વિસ્તારોમાં તોડફોડ અને આગજની બાદ રાજ્ય સરકારે શિલોંગમાં કર્ફ્યુ લગાવી દીધો છે અને ઓછામાં ઓછા 4 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. 

મેઘાલયમાં પૂર્વ વિદ્રોહી નેતા ચેરિશસ્ટારફીલ્ડ થાંગખ્યૂના મૃત્યુ બાદ હિંસા વધી રહી છે. બદમાશોએ 3 માઈલ અપર શિલોંગ સ્થિત, લાઈમર સ્થિત મુખ્યમંત્રી આવાસ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. હિંસક ઘટનાઓ બાદ શિલોંગમાં સંપૂર્ણપણે કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના અન્ય કેટલાય વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ રોકી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 17મી ઓગષ્ટે સવારના 5:00 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. 

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિદ્રોહી નેતા ચેરિશસ્ટારફીલ્ડ થાંગખ્યૂના મૃત્યુ બાદ હિંસા વધી રહી છે. રાજ્યમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે રવિવારે સાંજે રાજ્યના ગૃહમંત્રી લખન રિંબુઈએ રાજીનામુ આપી દીધું હતું. સીએમ સંગમાને લખેલા પત્રમાં રિંબુઈએ લખ્યું હતું કે, હું એ ઘટના અંગે દુખ વ્યક્ત કરું છું જેમાં પોલીસે દરોડા બાદ ચેસ્ટરફીલ્ડને કાયદાના વૈધ સિદ્ધાંતો વિરૂદ્ધ કાર્યવાહી દરમિયાન મારી નાખ્યો. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iMXKvx
via IFTTT

ટિપ્પણીઓ નથી: