દિલ્હીમાં વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી, ITOમાં પાણીનો ભરાવો, આઝાદ માર્કેટ અંડરપાસ પણ બંધ


- દિલ્હી એનસીઆરમાં શુક્રવાર સાંજથી જ વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે શનિવાર માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે

નવી દિલ્હી, તા. 21 ઓગષ્ટ, 2021, શનિવાર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદના કારણે મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. એક તરફ દિલ્હીવાસીઓને ગરમી અને બફારાથી રાહત મળી છે તો બીજી બાજુ ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારોમાં ભરાયેલું પાણી મુશ્કેલીનું કારણ બન્યું છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો તકલીફમાં મુકાયા છે. દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાવાના કારણે પરિવહન પ્રભાવિત થયું છે અને ડીટીસી બસ પણ ખરાબ થઈ ગઈ છે. 

પરિવહનને અસર

પાણી ભરાવાના કારણે આઝાદ માર્કેટ અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે આઝાદ માર્કેટ અંડરપાસમાં 1.5 ફૂટ સુધીનું પાણી ભરાયું છે. ઉપરાંત પાણી ભરાવાના કારણે મિંટો બ્રિજ પર પણ વાહનોની અવર-જવર પ્રભાવિત થઈ છે. તે સિવાય મૂલચંદ અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. 

મિંટો બ્રિજ પર વાહનોની અવર-જવર પ્રભાવિત

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે વરસાદના કારણે દિલ્હીના તાપમાનમાં ઘટાડો થયો છે. રાજધાનીનું લઘુતમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી આવી ગયું છે. દિલ્હી એનસીઆરમાં શુક્રવાર સાંજથી જ વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે શનિવાર માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. શનિવારે દિલ્હીમાં મધ્યમ વરસાદ થશે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k5ylwI
via IFTTT

ટિપ્પણીઓ નથી: