પૂરનો કહેરઃ PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ગ્રામીણો આપી રહ્યા છે મતદાન બહિષ્કારની ધમકી

- ખેતરોના મોટા ભાગના વિસ્તારોમાં ગંગાનું પાણી ભરાઈ ગયું છે અને તેમાં હોડીઓ ચાલી રહી છે
નવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ, 2021, બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના અનેક ગામડાઓમાં પૂરના કારણે કહેર વર્તાયો છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થયેલા વરસાદ અને બાંધોમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે યુપીના અનેક જિલ્લાઓમાં નદીઓ બે કાંઠે વહી રહી છે. પૂરના કહેરથી વારાણસીના ગામડાઓ પણ બાકી નથી રહ્યા. વારાણસીમાં ગંગા નદી જોખમના નિશાનથી ઉપર વહી રહી છે અને હજુ સતત પાણીનો વધારો ચાલુ જ છે.
પૂરના કારણે શહેરી વિસ્તારો ઉપરાંત ગામડાઓમાં પણ જળપ્રલય જેવી સ્થિતિ નિર્માણ પામી છે. શાકભાજીની ખેતી માટે ખૂબ જ પ્રખ્યાત વારાણસીના રમના ગામની સ્થિતિ એવી છે કે, ત્યાંના અડધાંથી વધારે ગામડાં જળમગ્ન થઈ ચુક્યા છે. ખેતરોના મોટા ભાગના વિસ્તારોમાં ગંગાનું પાણી ભરાઈ ગયું છે અને તેમાં હોડીઓ ચાલી રહી છે. આ તરફ ગ્રામ પ્રધાનની આગેવાનીમાં ગ્રામીણોએ તટબંધ ન બનવાની સ્થિતિમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચેતવણી પણ આપી દીધી છે.
વારાણસીની રોહનિયા વિધાનસભાનું રમના ગામ લંકા ક્ષેત્રમાં આવે છે. શાકભાજીની ખેતી ઉપરાંત પાપડીની ખેતી માટે આ વિસ્તાર ભારત જ નહીં વિદેશમાં પણ ખ્યાતિ મેળવી ચુક્યો છે. આ ગામ સંપૂર્ણ પૂર્વાંચલમાં શાકભાજીના સપ્લાયનું માધ્યમ પણ છે. પૂરના કારણે આ સ્થિતિ બેકાબૂ બની હોવાથી આ ગામ હાલ ખૂબ જ ચર્ચામાં છે. આશરે 40 હજાર કરતા પણ વધારે લોકોની વસ્તી દર વર્ષે પૂરની વિભીષિકામાં આ મુશ્કેલીનો સામનો કરે છે.
આશરે 40 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં 15 હજાર મતદારો છે. ગામની 70 ટકા વસ્તી શાકભાજીની ખેતી પર નિર્ભર છે. ગંગામાં પૂર આવવાના કારણે અડધાંથી વધારે ખેતરો ડૂબી ચુક્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CEqX3Z
via IFTTT
ટિપ્પણીઓ નથી: