કલ્યાણ સિંહના અંતિમ દર્શન બાદ PM મોદીએ કહ્યું- પોતાના નામને તેમણે જીવન મંત્ર બનાવ્યો


- અતરૌલીના નરૌરા ખાતે 23 ઓગષ્ટ (સોમવાર)ના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ, 2021, રવિવાર

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહનું શનિવારે અવસાન થયું હતું. તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા. કલ્યાણ સિંહના આવાસ ખાતે તેમના અંતિમ દર્શન માટે રાજકીય હસ્તિઓની અવર-જવર શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી લખનૌ પહોંચ્યા હતા અને તેમના નિવાસ સ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમના સાથે ઉપસ્થિત હતા. 

પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહના પાર્થિવ શરીરને તેમના લખનૌ ખાતેના આવાસ પર લઈ જવામાં આવ્યું હતું. અંતિમ દર્શન બાદ પૂર્વ મુખ્યમંત્રીને તેમના પૈતૃક જિલ્લા અલીગઢ લઈ જવામાં આવશે. અતરૌલીના નરૌરા ખાતે 23 ઓગષ્ટ (સોમવાર)ના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજો લખનૌ પહોંચ્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, કલ્યાણ સિંહનું નામ કલ્યાણ સિંહ તેમના માતા-પિતાએ રાખ્યું હતું. કલ્યાણ સિંહે પોતાના નામને સાર્થક કર્યું. જીવનભર જન કલ્યાણ માટે જીવ્યા. તેમણે જન કલ્યાણને જ પોતાનો મંત્ર બનાવ્યો. ભાજપ, જનસંઘ અને સમગ્ર પરિવારને આ વિચાર માટે, દેશના ઉજ્વળ ભવિષ્ય માટે સમર્પિત કર્યો. તેઓ દરેક ખૂણામાં વિશ્વાસનું એક નામ બની ગયા હતા. જીવનનો મોટા ભાગનો સમય તેઓ જનકલ્યાણ માટે પ્રયત્નરત રહ્યા. વડાપ્રધાન મોદી કલ્યાણ સિંહના પરિવારજનોને પણ મળ્યા હતા. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j8tqfm
via IFTTT

ટિપ્પણીઓ નથી: