હાઈ એન્ટીબાયોટિક હોય છે ગૌમૂત્ર, ઉપયોગ કરવાથી ગાયબ થઈ જાય છે સંક્રમિત બીમારીઓઃ સાધ્વી પ્રજ્ઞા

- કોરોના કાળની બીજી લહેર દરમિયાન ભાજપના સાંસદે કહ્યું હતું કે, તેઓ કોરોનાથી એટલે બચી શક્યા કે, તેઓ દરરોજ ગૌમૂત્રનું સેવન કરે છે
નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર, 2021, શનિવાર
ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગૌમૂત્રને હાઈ એન્ટીબાયોટિક ગણાવ્યું છે. ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ આપેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ભાજપના સાંસદે જણાવ્યું કે, અમે ગૌમૂત્રને પવિત્ર માનીએ છીએ, અનેક રિસર્ચર પણ કહે છે કે, ગૌમૂત્ર હાઈ એન્ટીબાયોટિક હોય છે. સાધ્વી પ્રજ્ઞાના કહેવા પ્રમાણે રિસર્ચના દાવાનો અર્થ કાઢવા પર અમને જાણવા મળ્યું કે, ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી તમામ સંક્રમિત બીમારીઓ દૂર થઈ જાય છે.
સાધ્વી પ્રજ્ઞાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર થઈ રહ્યો છે. આ પહેલી વખત નથી કે તેમણે ગૌમૂત્રના ફાયદા ગણાવ્યા હોય. કોરોના કાળની બીજી લહેર દરમિયાન ભાજપના સાંસદે કહ્યું હતું કે, તેઓ કોરોનાથી એટલે બચી શક્યા કે, તેઓ દરરોજ ગૌમૂત્રનું સેવન કરે છે.
વીડિયો પર પ્રતિક્રિયાઓઃ
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સિંહના વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓનો ધોધ વહ્યો છે. લોકોએ સવાલ કર્યો હતો કે, જો ગૌમૂત્ર એટલું ફાયદાકારક છે તો હોસ્પિટલ્સમાં ડોક્ટર્સ તેના સેવન માટે શા માટે નથી કહેતા. ફેક્ટ ચેક નામના આઈડીની કોમેન્ટ આવી હતી કે, ચોક્કસથી ગૌમૂત્રમાં સોડિયમ, પોટેશિયમ, ક્રિએટિનિન, ફોસ્ફરસ અને એપિથેલિયલ સેલ્સ જેવા ખનીજ હોય છે પરંતુ વિજ્ઞાન એ વાતનું સમર્થન નથી કરતું કે, તેનું સેવન સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે ફાયદાકારક બની શકે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, તમે સાચા હોવ તો પણ કોઈ તથ્ય વગર જનતાને તેનું સેવન કરવાની સલાહ ન આપવી જોઈએ. પહેલા કોઈ પ્રમાણિક રિસર્ચ બતાવવું જોઈએ.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38GmeAQ
via IFTTT
ટિપ્પણીઓ નથી: