પીએમ મોદી પણ માણસ છે અને તેમનાથી ભૂલ થઈ શકે છે, પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના મુદ્દે ડો.સ્વામીનુ નિવેદન

નવી દિલ્હી,તા.12 સપ્ટેમ્બર 2021,રવિવાર

પીએમ મોદીએ અગાઉ જાહેરાત કરી હતી કે, ભારતને 2024 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનુ લક્ષ્ય છે.

ભાજપના રાજ્યસભાના સાંસદ અને નેતા ડો.સુબ્રમણ્યમ સ્વામીએ તેના પર કહ્યુ છે કે, આ એક ભૂલ હતી. પીએમ મોદી પણ માણસ છે અને તે પણ ભૂલ કરી શકે છે. તેમણે જ્યારે કહ્યુ હતુ કે, ભારત પાંચ વર્ષમાં જીડીપી 5 ટ્રિલિયન કરશે ત્યારે તેમણે ભૂલ કરી હતી. કારણકે આ માટે દેશની ઈકોનોમી દર વર્ષે 14 ટકાના દરથી વધવી જોઈએ.

જોકે ડો.સ્વામીએ આ નિવેદનમાં પીએમ મોદીનુ નામ નહોતુ લીધુ પણ તેમનો ઈશારો સ્પષ્ટપણે પીએમ મોદી તરફ હતો.

જ્યારે સોશિયલ મીડિયા પર એક યુઝરે પૂછ્યુ હતુ કે, આ લક્ષ્ય અસંભવ છે ત્યારે ડો.સ્વામીએ જવાબ આપ્યો હતો કે, અશક્ય તો નથી જ. કારણકે મેં પોતે 10 ટકાના ગ્રોથ રેટથી ઈકોનોમી વિકસી શકે તે માટે સૂચન કર્યુ હતુ. આ માટે સરકારે કઈ બાબતોને પ્રાથમિકતા આપવી જોઈએ તેનુ પણ સૂચન કર્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, મેં તેમને આ માટે મારા એક પુસ્તકની કોપી પણ મોકલી છે અને આ સિવાય સંખ્યાબંધ પત્રો પણ લખ્યા છે.

એક યુઝરે તેમને પૂછ્યુ હતુ કે, પીએમ મોદી આટલી મહેનત કરી રહ્યા છે ને તમે તેમનાથી નફરત કરી રહ્યા છો ત્યારે ડો.સ્વામીએ જવાબ આપ્યો હતો કે, ભાજપને કોંગ્રેસ જેવા ચમચાગીરીના કલ્ચરથી સંક્રમિત કરવાની જરૂર નથી. પીએમ મોદી પાર્ટી અને સંગઠનના સપોર્ટથી આજે પીએમ છે. ભાજપના કાર્યકરો તેમના માટે ઘરે-ઘરે જઈને પ્રચાર કરે છે.

ઉલ્લેખનયી છે કે, પીએમ મોદીના લક્ષ્યાંકના સમર્થનમાં કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ તેમજ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ અગાઉ કહી ચુકયા છે કે, ભારતની ઈકોનોમીને 2024 સુધીમાં પાંચ ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનુ લક્ષ્ય છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3C5hhhS
via IFTTT

ટિપ્પણીઓ નથી: