ભારતમાં નાર્કો આતંકવાદ ફેલાવવા આઈએસઆઈ, તાલિબાનોનું કાવતરું


નવી દિલ્હી, તા.૨૩

અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન આવતા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને તાલિબાનોએ ભારતમાં નાર્કો આતંકવાદ ફેલાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નાર્કો આતંકવાદના ભાગરૂપે એકબાજુ ગુજરાતના બંદરેથી ૨૧,૦૦૦ કરોડથી વધુના મૂલ્યનું ડ્રગ્સ પકડાયું છે ત્યારે બીજીબાજુ ગુપ્તચર એજન્સીએ પાંચ અફઘાન આતંકીઓ ભારતમાં ઘૂસી આવ્યાની એલર્ટ જાહેર કરી છે. મોટા મિલિટ્રી કેમ્પ અને સરકારી સંસ્થાનો તેમના નિશાના પર છે. દરમિયાન આઈએસઆઈ ભારતમાં આઈઈડી મારફત મોટો આતંકી હુમલો કરાવવાની ફિરાકમાં છે. આ અંગે પણ એલર્ટ જાહેર કરાઈ છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ હજુ સંપૂર્ણપણે કબજો પણ નથી મેળવ્યો ત્યાં ભારતમાં નાર્કો આતંકવાદની અસર દેખાવા લાગી છે. ગુપ્તચર એજન્સીઓએ તાલિબાનનું શાસન સ્થિર થયા પછી પહેલી વખત એલર્ટ જાહેર કરીને પાંચ અફઘાન આતકંવાદીઓ ભારતમાં ઘૂસ્યા હોવાની ચેતવણી આપી છે. ગુપ્તચર અહેવાલ મુજબ આ આતંકીઓની જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરની અગનૂર પોસ્ટ સરહદે વાડ કાપીને ભારતમાં ઘૂસણખોરી કરાવાઈ હતી. 

અહેવાલ મુજબ આ અફઘાન આતંકવાદીઓને પાકિસ્તાનના એક કમાન્ડરના નિરીક્ષણમાં ૧૮મી સપ્ટેમ્બરે એટલે કે ગયા સપ્તાહે ઘૂસણખોરી કરાવાઈ હતી. સૂત્રો મુજબ આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવી પરત ફરતી વખતે પાકિસ્તાની ગાઈડ ભારતીય સલામતી દળોની નજરે ચઢી ગયો હતો. આ સમયે બંને તરફથી થયેલા ગોળીબારમાં ભારતીય સલામતી દળના એક જવાનને ઈજા પહોંચી હતી. 

ગુપ્તચર એજન્સીના ટોચના અધિકારીએ જણાવ્યું કે, આ પાંચેય અફઘાન આતંકીઓની ઓળખનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે આ આતંકીઓના નિશાન પર મોટા મિલિટ્રી કેમ્પ અને સરકારી સંસ્થાનો છે. જમ્મુ-કાશ્મીરમાં કામ કરતા તમામ આતંકી સંગઠનોને આ અફઘાન આતંકીઓને મદદ કરવા જણાવાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખતાં નજીકના ભવિષ્યમાં કોઈ મોટા આતંકી હુમલાની શક્યતાઓને નકારી શકાય નહીં. વધુમાં ગુજરાતના બંદર પર દાણચોરીથી ઘૂસાડવામાં આવેલા ૨૧,૦૦૦ કરોડના ડ્રગ્સ કૌભાંડમાં પણ ચાર અફઘાન અને એક ઉઝબેક નાગરિકની ધરપકડ કરાઈ છે.

દરમિયાન પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ભારતમાં તહેવારોની મોસમમાં આઈઈડી મારફત મોટો વિસ્ફોટ કરાવવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓએ આ સંદર્ભમાં એલર્ટ પણ જાહેર કરી દીધી છે. ગુપ્તચર વિભાગનું કહેવું છે કે ટિફિન બોક્સમાં આઈઈડી મૂકીને હુમલો થઈ શકે છે. એટલું જ નહીં આ ટિફિન કોઈ ભીડ-ભાડવાળા વિસ્તારમાં મૂકવાનું કાવતરું રચાયું છે. સલામતી દળોએ છ આતંકવાદીઓની ધરપકડ પણ કરી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kyAZfM
via IFTTT

ટિપ્પણીઓ નથી: