ખેડૂત આંદોલન ફરી સક્રિય, ઉ. પ્રદેશમાં હજારો ઉમટયા


કૃષિ કાયદાઓના વિરોધમાં 27મીએ ભારત બંધનું ખેડૂતોનું એલાન, સરકાર એલર્ટ

માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં દેશભરમાં ભાજપ સામે રસ્તા પર ઉતરીશું : મહાપંચાયતમાં 300થી વધુ ખેડૂત સંગઠનોનું એલાન

કૃષિ કાયદાઓનો વિરોધ કરવા મોત આવે ત્યાં સુધી દિલ્હીની સરહદો પર બેઠા રહીશું : ખેડૂતોનું એલાન

માત્ર મુઠ્ઠીભર ખેડૂતો જ આંદોલન કરી રહ્યા છે તેવા દાવા કરતી સરકાર ખેડૂતોની આ જનમેદનીને આવીને જુવે : ટિકૈત

અમદાવાદ : કૃષિ કાયદાઓના વિરોધમાં શરૂ કરવામાં આવેલુ ખેડૂતોનું આંદોલન ફરી મોટુ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખેડૂતોએ મહાપંચાયત યોજી હતી,

જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ અન્ય રાજ્યોથી હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આ મહાપંચાયતને સંબોધતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે 27મી તારીખે ભારત બંધનું એલાન પણ કર્યું હતું. સાથે જ પુરા ઉત્તર પ્રદેશ અને દેશભરમાં ચૂંટણી પૂર્વે આવી પંચાયતોના માધ્યમથી ખેડૂતોને જોડવાની જાહેરાત પણ કરી હતી.  

મુઝફ્ફરનગરમાં યોજાયેલી આ ખેડૂત મહાપંચાયત એટલી વિશાળ હતી કે તેમાં આવેલા ખેડૂતોની ભોજન વ્યવસૃથા માટે સંખ્યાબંધ લંગર એટલે કે ભોજન સ્ટોલ પણ નાખવામાં આવ્યા હતા. દેશના આશરે 300 જેટલા મોટા ખેડૂત સંગઠનોના ખેડૂતો આ મહાપંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ખેડૂત નેતાઓએ મંચ પરથી કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દાવા કરી રહી છે કે માત્ર મુઠ્ઠી જેટલા ખેડૂતો જ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

જોકે કેન્દ્ર સરકારના મંત્રીઓ અહીં મુઝફ્ફરનગરમાં આવીને જોવે કે કેટલી મોટી સંખ્યામાં ખેડૂતો આ કૃષિ કાયદાના વિરોધ માટે એકઠા થયા છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે ખેડૂતો આવો આપણો અવાજ એટલો બુલંદ કરીએ કે તે સંસદમાં બેઠેલા નેતાઓ સુધી પહોંચે. અને તેઓ આપણી માગણીઓ પર ધ્યાન આપે. 

ખેડૂતોની વિવિધ માગણીઓમાં કૃષિ કાયદાઓને પરત લેવા અને ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવી આ બન્ને મુખ્ય છે. જેને ધ્યાનમાં રાખીને હવે ખેડૂતોએ શરૂ કરેલુ આંદોલન ફરી ઉગ્ર દિશા તરફ જઇ રહ્યું છે.

ખેડૂતોએ 9-10 તારીખે લખનઉમાં એક બેઠક યોજવાની જાહેરાત કરી છે. મહાપંચાયતમાં આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મંચ પરથી કહ્યું કે ખેડૂતોના સંગઠન સંયુક્ત મોરચાએ શરૂ કરેલું આ મિશન યુપી અને ઉત્તરાખંડ સુધી સિમિત નહીં રહે પણ પુરા ભારતમાં ફેલાશે, આ મિશન દેશ, બંધારણ બચાવવા માટે છે.

દેશના 14 કરોડ બેરોજગારો પણ અમારી સાથે છે. ટિકૈતે એક સુત્ર આપતા કહ્યું કે ટેકાના ભાવ નહીં તો મત પણ નહીં. આ સરકારને હવે વોટની ચોટ આપવાની છે. ટિકૈતે યોગી અને મોદીને ઉત્તર પ્રદેશ બહારના નેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ લોકો રમખાણો કરાવનારા છે, તેઓને આ રાજ્યની જનતા નહીં સ્વિકાર કરે. 

300થી વધુ ખેડૂત સંગઠનોની આ મહાપંચાયતમાં મંચ પરથી જાહેરાત કરવામા આવી હતી કે માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં દેશભરમાં ભાજપની સામે રસ્તા પર ઉતરીશું. રાકેશ ટિકૈતે કહ્યું કે દિલ્હી સરહદે અમારી કબર બની જાય તો પણ અમે ત્યાંથી નહીં હટીએ અને આંદોલન ચાલુ રહેશે.

આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે આવી નાની મોટી પંચાયતો દરેક રાજ્યમાં યોજવાની રણનીતી પણ ખેડૂતોએ આ બેઠકમાં ઘડી કાઢી છે. મંચ પર રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ જયંત ચૌધરી પણ હાજર હતા, તેમણે કહ્યું કે હું ખેડૂતો પર હેલિકોપ્ટરથી પુષ્પો વરસાવવા માગતો હતો પણ ડરેલી સરકારે અનુમતી ન આપી. 

આ બેઠકમાં રાકેશ ટિકૈતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક પણ ઉડાવી હતી, તેમણે કહ્યું હતું કે મોદી દેશની સંપત્તિ વેચી રહ્યા છે, અમે જનતાને જણાવીશું કે સરકાર શું વેચી રહી છે. કૃષિ કાયદાના વિરોધમાં અમે વડાપ્રધાન મોદીના નામ પર અભિયાન ચલાવીશું કેમ કે ભાજપ પણ આ જ કરી રહી છે.

સરકારે ભારત વેચવા કાઢ્યું છે જેવા પાટીયા દેશમાં લગાવી દીધા છે. એલઆઇસી, બેંક બધુ જ વેચાઇ રહ્યું છે. જેની ખરીદી અદાણી, અંબાણી કરી રહ્યા છે. આ સરકાર પાણી પણ વેચી રહી છે, દેશની નદીઓ ખતરામાં છે. બંધારણ ખતરામાં છે. ખેતી અને જમીન જ્યારે વાચવાના સ્તર પર આવી ત્યારે ખેડૂત જાગી ગયો.

ઉત્તર પ્રદેશની મહાપંચાયતમાં 

ખેડૂતોએ અલ્લાહુ અકબર અને  હર-હર મહાદેવના નારા લગાવ્યા

ઉત્તર પ્રદેશની ધરતીનો ઉપયોગ કોમવાદ અને રમખાણો માટે નહીં કરવા દઇએ : ટિકૈત 

મુઝફ્ફરનગર : ખેડૂતોએ કૃષિ કાયદા સામે ફરી આંદોલન સક્રિય બનાવી દીધુ છે. ઉ. પ્રદેશમાં મુઝફ્ફરનગરમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. તેમને મંચ પરથી સંબોધતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂતો પાસે હર હર મહાદેવ અને અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.

ટિકૈતે કહ્યું હતું કે અલ્લાહુ અકબર અને હર હર મહાદેવના નારા પગેલા પણ લાગતા હતા અને આગણ પણ લગાવતા રહીશું. ભાજપ લોકોમાં ધર્મના નામે ભાગલા પાડવાનું કામ કરી રહી છે. આ લોકો રમખાણો કરાવવાનું કામ કરે છે. પણ અમે તેને રોકીશું, આપણી એકતા તુટવી ન જોઇએ પણ વધુ મજબુત થવી જોઇએ. 

ટિકૈતે કહ્યું કે યુપીની ધરતીનો ઉપયોગ હિંસા ભડકાવવા માટે નહીં કરવા દઇએ. કાળા કૃષિ કાયદા સામેનું આ આંદોલન 28મી જાન્યુઆરીએ કચડી નાખવાનો પ્રયાસ થયો હતો પણ અમે મક્કમ રહ્યા અને પાછીપાની ન કરી. ટિકૈતે બાદમાં મંચ પરથી અલ્લાહુ અકબર અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા જેને ત્યાં હાજર ખેડૂતોએ પણ સમર્થન આપ્યું હતું.

ખેડૂતોને ભાજપના સાંસદનું સમર્થન 

ખેડૂતો પણ આપણું જ લોહી, તેમનું દર્દ સરકાર સાંભળે : વરૂણ ગાંધી

મુઝફ્ફરનગરમાં ખેડૂતોની મહાપંચાયત ઇલેક્શન મીટિંગ છે : ભાજપનો દાવો 

નવી દિલ્હી : કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલુ ખેડૂતોનું આંદોલન ફરી મોટુ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ સિૃથતિ વચ્ચે ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોનું દર્દ સમજવું જોઇએ કેમ કે તેઓ આપણુ જ લોહી છે. 

પીલીભીતના સાંસદ વરૂણ ગાંધીએ ખેડૂતોની મહાપંચાયતનો વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે મુઝફ્ફરનગરમાં લાખોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. તેઓ આપણુ જ લોહી છે. ખેડૂતોની સાથે આપણે (કેન્દ્ર સરકારે) ફરી વાતચીત શરૂ કરવાની જરૂર છે. તેમનું દર્દ સરકારે સાંભળવું જોઇએ. 

વરૂણ ગાંધીને બાદમાં આરએલડી નેતા જયંત ચૌધરીએ પણ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વરૂણ ગાંધીએ ખેડૂતોના હિતો માટે જે અવાજ ઉઠાવ્યો તેને આવકારીએ છીએ.

બીજી તરફ વરૂણ ગાંધીના જ પક્ષ ભાજપે મુઝફ્ફરનગરમાં યોજાયેલી ખેડૂતોની મહાપંચાયતને ઇલેક્શન મીટિંગ ગણાવી હતી. ભાજપના કિસાન મોરચાના વડા અને સાંસદ રાજકુમાર ચાહરે દાવો કર્યો હતો કે મુઝફ્ફરનગરની મહાપંચાયતનો હેતુ માત્ર ચૂંટણી છે ખેડૂતોની સમસ્યાઓ કે મુદ્દાઓ નહીં. આ એક ચૂંટણી બેઠક છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jNqkgW
via IFTTT

ટિપ્પણીઓ નથી: