તાલિબાન સાથે હાથ મિલાવવા તૈયાર દેશો પર જાવેદ અખ્તરનો શબ્દ પ્રહાર, કહ્યું 'પછી ન્યાય-માનવતા ભૂલી જજો'


- જાવેદ અખ્તરે તાલિબાની પ્રવક્તા સૈયદ જકીરૂલ્લાહે મહિલાઓ અંગે જે નિવેદન આપ્યું તેની આકરા શબ્દોમાં નિંદા કરી હતી

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર, 2021, શનિવાર

બોલિવુડના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે તાલિબાનને સાથ આપવા માટે તૈયાર કથિત સભ્ય અને લોકશાહી દેશોને નિશાન પર લીધા છે. તેમણે જણાવ્યું કે, વિશ્વની તમામ લોકશાહી સરકારોએ તાલિબાનને માન્યતા આપવાનો ઈનકાર કરી દેવો જોઈએ. સાથે જ અફઘાનિસ્તાનની મહિલાઓના દમન માટે તાલિબાનની નિંદા કરવી જોઈએ. જાવેદ અખ્તરે ટ્વીટ કરીને આ વાતજણાવી હતી. 

જાવેદ અખ્તરે ટ્વીટમાં લખ્યું હતું કે, 'દરેક સભ્ય વ્યક્તિ, દરેક લોકશાહી સરકાર, વિશ્વના દરેક સભ્ય સમાજે તાલિબાનીઓને માન્યતા આપવાનો ઈનકાર કરવો જોઈએ અને અફઘાની મહિલાઓના ક્રૂર દમન માટે નિંદા કરવી જોઈએ અથવા પછી ન્યાય, માનવતા અને વિવેદ જેવા શબ્દોને ભૂલી જવા જોઈએ.'

તાલિબાની પ્રવક્તાની નિંદા

અન્ય એક ટ્વીટમાં જાવેદ અખ્તરે તાલિબાની પ્રવક્તા સૈયદ જકીરૂલ્લાહે મહિલાઓ અંગે જે નિવેદન આપ્યું તેની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'તાલિબાની પ્રવક્તાએ વિશ્વને જણાવ્યું છે કે, મહિલાઓ મંત્રી બનવા માટે નથી પરંતું ઘરે રહેવા અને બાળકો પેદા કરવા માટે હોય છે. પરંતુ વિશ્વના તથાકથિત સભ્ય અને લોકશાહી દેશ તાલિબાન સાથે હાથ મિલાવવા તૈયાર છે. કેટલી શરમજનક વાત છે.'

ઉલ્લેખનીય છે કે, તાલિબાની પ્રવક્તા સૈયદ જકીરૂલ્લાહ હાશમીએ મહિલાઓ માટે શરમજનક નિવેદન આપ્યું હતું. હાશમીને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે, તાલિબાનની સરકારમાં મહિલાઓને જગ્યા શા માટે ન આપવામાં આવી ત્યારે તેના જવાબમાં તેમણે મહિલાઓનું કામ ફક્ત બાળકો પેદા કરવાનું છે, તે મંત્રી ન બની શકે તેમ કહ્યું હતું. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hn2KpO
via IFTTT

ટિપ્પણીઓ નથી: