શ્રીલંકાને નાદાર કરીને ડ્રેગન ગળી જશે


- પાકિસ્તાનમાં પણ ચીનની કાર્યવાહી જારી છે

- ચીન એશિયાઈ દેશોને આ રીતે નાણાકીય રીતે મદદ કરીને તેના ચુંગાલમાં લીધા છે

નવી દિલ્હી : હિન્દી ફિલ્મનો જાણીતો ડાયલોગ છે કે આખિર જિસ કા ડર થા વહી હુઆ. આ ડાયલોગ શ્રીલંકાની વર્તમાન પરિસ્થિતિ સાથે એકદમ બંધ બેસે છે. શ્રીલંકાએ કોરોના કટોકટીના પગલે કથળેલી નાણાકીય સ્થિતિના લીધે નાદારી નોંધાવી છે ત્યારે હવે તેને ચીન ગળી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. 

શ્રીલંકાએ આમ પણ તેનું હમ્બનટોટા બંદર અને બીજી કેટલીક સરકારી મિલકતો ચીનને ઉપયોગ કરવા માટે આપેલી છે. હવે નાદારીના લીધે શ્રીલંકા માટે કદાચ એ પ્રકારની પરિસ્થિતિ આવે કે તેણે આ પ્રકારની મિલકતો કાયમ માટે ચીનને આપી દેવી પડે.

આ ઉપરાંત તેણે દેશ ચલાવવા ચીન પાસેથી ધિરાણ લેવું પડે તેવી પણ સંભાવના છે. આ સંજોગોમાં શ્રીલંકા ચીનની ચુંગાલમાં વધુને વધુ સપડાતું જાય તેવી સંભાવના છે. શ્રીલંકાનું અર્થતંત્ર મહદઅંશે ટુરિઝમ પર અને ચાની નિકાસ પર નિર્ભર હતુ. કોરોનાના લીધે હવે બંનેને ફટકો પડયો છે. તેના લીધે શ્રીલંકાની નાણાકીય હાલત કથળી છે. આટલું ઓછું હોય તેમ શ્રીલંકાની સરકારે સમગ્ર પ્રજાના રસીકરણનો બોજો પણ ઉઠાવવાનો આવ્યો હતો. આ બાબતે તેની કથળેલી નાણાકીય સ્થિતિને વધુ એક ફટકો માર્યો હતો.

ચીને આમ પણ એશિયાઈ દેશોને આ જ પ્રકારને નાણાકીય ધિરાણ કરીને પછી તેમની એક પછી એક મિલકતો હસ્તગત કરીને તેના અંકુશમાં લીધા છે. પાકિસ્તાનમાં તે હાલમાં આમ જ કરી રહ્યુ છે અને હવે તેણે શ્રીલંકાને પણ હાથ પર લઈ લીધું છે. ભારત જો આ મોરચે અફઘાનિસ્તાનના મોરચાની જેમ જ નિષ્ક્રીય રહેશે તો કદાચ ચીન કાયમ માટે શ્રીલંકાને ભારતના હાથમાંથી છીનવી લે તો આશ્ચર્ય નહી થાય. ચીન તેની પાસેના જંગી નાણાકીય સંસાધનોનો ઉપયોગ કરીને શ્રીલંકાની લગભગ બધી સરકારી મિલકતો તેના તાબામાં લઈ લે તેમ મનાય છે. શ્રીલંકા પાસે પણ જો ચીન તેને મદદ કરે તો તેનું ડીલ સ્વીકારવા સિવાય કોઈ આરો નથી. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BSkS2v
via IFTTT

ટિપ્પણીઓ નથી: