રાકેશ ટિકૈતે પોતાની જાતને આપી 'કાળા પાણી'ની સજા, મુઝફ્ફરનગરની માટી પર નહીં મુકે પગ


- અમે ફક્ત કોરિડોરથી જઈશું અને હાઈવેથી લઈને મંચ સુધી જ જઈશું અને ત્યાંથી જ પાછા આવી જઈશુંઃ ટિકૈત

નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર, 2021, રવિવાર

યુપીના મુઝફ્ફરનગરમાં રવિવારે એટલે કે આજે ખેડૂતોની એક વિશાળ મહાપંચાયતનું આયોજન છે. જીઆઈસી ગ્રાઉન્ડ પર યોજાનારી આ મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ સામેલ થશે. તેઓ મુઝફ્ફરનગર જવા માટે નીકળી ગયા છે પરંતુ તેમના કહેવા પ્રમાણે તેઓ ત્યાંની જમીન પર પગ નહીં મુકે.

ટિકૈત મુઝફ્ફરનગરના જ રહેવાસી છે અને જ્યારથી ખેડૂત આંદોલન શરૂ થયું છે ત્યારથી તેમણે ત્યાં પગ નથી મુક્યો. ટિકૈતે જણાવ્યું કે, 'જ્યારથી આંદોલન શરૂ થયું છે ત્યારથી આજે પહેલી વખત હું મુઝફ્ફરનગર જઈ રહ્યો છું અને તે પણ કોરિડોરમાંથી જઈશ. ત્યાંની જમીન પર પગ પણ નહીં મુકુ અને મારા ઘર બાજું જોઈ લઈશ, ત્યાંના લોકોને જોઈ લઈશ.'

વધુમાં જણાવ્યું કે, 'આને તમે જે પણ સમજો પરંતુ જ્યાં સુધી કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી ઘરવાપસી નહીં. જે લોકો આઝાદીની લડાઈ માટે લડ્યા, તેમને કાળા પાણીની સજા થઈ તો તેઓ કદી ઘરે જ ન ગયા. આ પણ એક જાતનો કાળો કાયદો છે અને જ્યાં સુધી કૃષિ કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી ઘરે નહીં જઉં.'

રાકેશ ટિકૈતે કહ્યું કે, 'ગામ, સમાજ અને સંયુક્ત મોરચાએ મને બસ એટલી જ પરમિશન આપી છે કે જ્યાં સુધી કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી ઘરવાપસી નહીં. અમે મુઝફ્ફરનગર ન જઈ શકીએ. અમે ફક્ત કોરિડોરથી જઈશું અને હાઈવેથી લઈને મંચ સુધી જ જઈશું અને ત્યાંથી જ પાછા આવી જઈશું. આખું શહેર જામ થઈ ગયું છે. ત્યાં ખૂબ ભીડ છે. 10થી 12 કિમી સુધી જનતા છે. જ્યાંથી રસ્તો જામ હશે ત્યાંથી મોટરસાઈકલ પર જશે પણ મંચ સુધી ચોક્કસ પહોંચશે.'



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WQUPd0
via IFTTT

ટિપ્પણીઓ નથી: