રાહુલ ગાંધીનો ગંભીર આરોપઃ ચીને લદ્દાખમાં દિલ્હી જેટલા ભૂખંડ પર અતિક્રમણ કર્યું


- જે દિવસે આપણે સીધા લોકો સુધી પહોંચવાનું શરૂ કરી દઈશું તે દિવસે મીડિયા બેકાર થઈ જશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર, 2021, રવિવાર

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના છાત્ર એકમ NSUIના સદસ્યો સાથેની મુલાકાત દરમિયાન એવો આરોપ લગાવ્યો હતો કે, ચીને લદ્દાખમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી જેટલા મોટા ભૂખંડ પર અતિક્રમણ કરી લીધું છે. જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે એવો આરોપ પણ લગાવ્યો હતો કે, મીડિયા ભાજપ સરકારની કાર્યવાહી પર ચુપકિદી સાધી રહ્યું છે અને કોંગ્રેસના નેતૃત્વવાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (સંપ્રગ) સરકારની ટીકા કરતું હતું. 

રાહુલ ગાંધીએ NSUIના નેતાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, ચીને લદ્દાખમાં ભારતના દિલ્હી જેટલા મોટા ભૂખંડ પર અતિક્રમણ કરી લીધું છે. જો સંપ્રગ સરકારના શાસન દરમિયાન આવું બનતું તો મીડિયા 24 કલાક તેની ટીકા કરેત. મીડિયાએ એમ કહ્યું હતું કે, સંપ્રગ સરકારે દેશને બરબાદ કરી નાખ્યો પરંતુ આજે તે ચુપ છે. 

2008ના મુંબઈ હુમલાને યાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 26 સપ્ટેમ્બરના રોજ થયેલા હુમલા બાદ મીડિયાએ વડાપ્રધાન મનમોહન સિંહને બેકાર ઠેરવી દીધા હતા પરંતુ પુલવામા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિર્ભીક ગણાવવામાં આવ્યા. જે દિવસે આપણે સીધા લોકો સુધી પહોંચવાનું શરૂ કરી દઈશું તે દિવસે મીડિયા બેકાર થઈ જશે. 

આટલેથી જ ન અટકતાં, રાહુલ ગાંધીએ મીડિયા પર હુમલો કરતા કહ્યું કે, આઝાદી પહેલા સ્વતંત્રતા આંદોલન દરમિયાન સમાચાર પત્ર બ્રિટિશ સરકારનું સમર્થન કરતા હતા જેવી રીતે આજની સરકારનું કરી રહ્યા છે. મીડિયાનો એક વર્ગ તે સમયે મહાત્મા ગાંધીની સતત ટીકા કરતો હતો. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hpgRLi
via IFTTT

ટિપ્પણીઓ નથી: