હરિયાણામાં હજારો ખેડૂતો રસ્તા પર ઉતરતા ખટ્ટર સરકાર ભીંસમાં

કૃષિ કાયદાઓનો વિરોધ કરેલી રહેલા આંદોલનકારી ખેડૂતોના માથા ફોડવા ભારે પડયા
ખેડૂતોના માથા ફોડવાના આદેશ આપનારા એસડીએમ સામે કાર્યવાહી નહીં કરો તો હરિયાણાની જેલો ખેડૂતોથી ભરાઇ જશે : ટિકૈત
ખેડૂતોને આગળ વધતા અટકાવવા પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો : સીઆરપીએફ, આઇટીબીપી સહિતનો કાફલો તૈનાત
હરિયાણાભરમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળે તેવી ભીતિને પગલે પોલીસને એલર્ટ કરવામાં આવી, તંગદિલીભરી સ્થિતિ
ખેડૂતોએ જિલ્લા સચિવાલયને ઘેર્યું, માગણી ન સ્વિકારાય તો ઘેરાવો યથાવત્ રાખવાની ચીમકી, લંગર શરૂ થયા
કર્નાલ : હરિયાણાના કર્નાલમાં ખેડૂતો પર બર્બર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક ખેડૂતોના માથા ફૂટયા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતોએ મંગળવારે વિશાળ રેલી કાઢી હતી જેમાં હજારો ખેડૂતો જોડાયા હતા, બાદમાં જિલ્લા સચિવાલયનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન પણ પોલીસ સાથે ભારે ઘર્ષણ થયું હતું. ખેડૂતો પર વોટર કેનનનો મારો ચલાવવામાં આવ્યો હતો.
ભારે ઘર્ષણ વચ્ચે ખેડૂતો બાદમાં કર્નાલ જિલ્લા સચિવાલયના ગેટ પર જ ધરણા કરવા બેસી ગયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ જોડાયા હતા, તેમણે કહ્યું હતું કે સરકાર નહીં માને તો અહીં શરૂ થયેલા ધરણા મોટુ સ્વરૂપ ધારણ કરશે. 28મી ઓગસ્ટે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યા હતા, જે દરમિયાન કર્નાલના એસડીએમએ પોલીસને કહ્યું હતું કે ખેડૂતોના માથા ફોડી નાખજો, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
આ એસડીએમ સામે કાર્યવાહીની માગણી થઇ રહી હોવા છતા સરકાર દ્વારા કોઇ જ પગલા ન લેવામાં આવતા ખેડૂતો ફરી વિફર્યા છે અને રસ્તા પર ઉતર્યા હતા. હાલ મોટી સંખ્યામાં ખેડૂતો સચિવાલય બહાર ધરણા પર બેસી ગયા છે અને તેમના ભોજન માટે લંગર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
જેને પગલે હરિયાણામાં ખેડૂતો અને સરકાર બન્ને વચ્ચેનું ઘર્ષણ વધુ મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે. અહીંના નમસ્તે ચોક પાસે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ ગયા છે અને સરકાર પર દબાણ વધારી રહ્યા છે. ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે સાથે જ ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવાની માગણી કરી રહ્યા છે.
જોકે હરિયાણા સરકાર કે સૃથાનિક ભાજપ નેતાઓ તેમની માગણીઓ સાથે સહમત ન થઇ રહ્યા હોવાથી હરિયાણામાં જ્યાં પણ ભાજપના કાર્યક્રમો યોજાય છે ત્યાં ખેડૂતો વિરોધ પ્રદર્શન માટે પહોંચી જાય છે. આવું જ 28મી ઓગસ્ટે કર્નાલમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના કાર્યક્રમ દરમિયાન થયું હતું. જેમાં અનેક ખેડૂતોના માથા ફોડી નખાયા હતા. તેથી ખેડૂતોનો રોષ હવે વધી રહ્યો છે.
વિરોધ પ્રદર્શનની આગેવાની લેનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકાર અમારી માગણીઓ સ્વિકારે નહીં તો હરિયાણાની જેલો ખેડૂતોથી ભરી દઇશું, અમે ધરપકડથી નથી ડરતા, સરકાર અમારી ધરપકડ કરે નહીં તો માગણીઓ સ્વિકાર કરે. આ ધરણા પ્રદર્શનમા ંસામેલ થવા જઇ રહેલા કેટલાક ખેડૂતોની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. જોકે મોટી સંખ્યામાં ખેડૂતો આવી જતા પોલીસે બાદમાં વોટર કેનનનો મારો ચલાવ્યો હતો.
હાલ હરિયાણાના લઘુ સચિવાલયના બન્ને ગેટ બંધ કરી દેવા પડયા છે એટલી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. ગેટની અંદર સીઆરપીએફની બટાલિયાન તૈનાત કરાઇ છે. જ્યારે બહાર આઇટીબીપી, સીઆરપીએફ, હરિયાણા પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. ખેડૂતોએ બે કીમી લાંબી વિશાળ રેલી પણ કાઢી હતી.
ખેડૂતોની મુખ્ય માગણી છે કે ખેડૂતોના માથા ફોડી નાખવાના આદેશ આપનારા એસડીએમ આયુષ સિન્હા સામે કાર્યવાહી કરવામાં આવે સાથે લાઠીચાર્જ બદલ તેમની સામે તપાસ કરવામાં આવે. જોકે પ્રશાસને તેમની માગણીઓ ન સ્વિકારતા હવે સરકાર સાથે આરપારની લડાઇના મૂડમા આવી ગયેલા ખેડૂતોએ સચિવાયલને ઘેરી લીધુ છે. જેથી હાલ હરિયાણામાં તંગદીલી ભરી સિૃથતિ સર્જાઇ ગઇ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hdsMf7
via IFTTT
ટિપ્પણીઓ નથી: