ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું દર્દ છલકાયું, કહ્યું- હું એકલો નથી જેની બસ છૂટી ગઈ


- નીતિન પટેલે જણાવ્યું કે, હું આ અટકળોથી પરેશાન નથી. ભૂપેન્દ્રભાઈ આપણા પોતાના છે. 

નવી દિલ્હી, તા. 13 સપ્ટેમ્બર, 2021, સોમવાર

ગુજરાતમાં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થયું ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે તેમણે જીવનમાં અનેક ઉતાર-ચઢાવો જોયા છે. તેઓ લોકોના દિલોમાં રહે છે અને તેમને ત્યાંથી કોઈ નહીં કાઢી શકે. રવિવારે મહેસાણામાં એક માર્ગ અને સિવિલ હોસ્પિટલમાં બનેલા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ લોકોને સંબોધિત કરતી વખતે નીતિન પટેલે એકદમ હળવા અંદાજમાં જણાવ્યું કે, તેઓ એકલા નથી જેમની બસ છૂટી છે, પરંતુ તેમના જેવા બીજા કેટલાય પણ છે. 

ગુજરાતમાં શનિવારે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું ત્યાર બાદ નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે રવિવારે ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, નીતિન પટેલ આ નિર્ણયથી ખુશ નથી. જોકે નીતન પટેલના કહેવા પ્રમાણે આ દાવાઓમાં કોઈ દમ નથી. 

ભૂપેન્દ્ર પટેલ જ્યારે સાંજે વિજય રૂપાણી સાથે સરકાર ગઠનનો દાવો કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા ગયા હતા ત્યારે પણ નીતિન પટેલ ત્યાં હાજર નહોતા. નીતિન પટેલે કહ્યું હતું કે, બીજા પણ અનેક એવા છે જેમની બસ છૂટી ગઈ છે. હું એકલો નથી માટે એ નજરથી ન જુઓ. પાર્ટી નિર્ણયો લે છે. લોકો ખોટા ક્યાસ કાઢે છે. મેં ધારાસભ્ય દળની બેઠક બાદ યાદવજીને કહ્યું કે, મને આ કાર્યક્રમમાં સામેલ થવું છે. જો આ જરૂરી ન હોત તો હું અહીં ન આવેત. પરંતુ આ જરૂરી હતું માટે યાદવજીએ પણ તેની મંજૂરી આપી દીધી. 

હકીકતે રવિવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિન પટેલ ત્યાંથી નીકળી ગયા હતા. આ અંગે તેમણે જણાવ્યું કે, તેઓ ભાજપના ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવની મંજૂરી મળ્યા બાદ જ પાર્ટી કાર્યાલયેથી નીકળ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, હું આ અટકળોથી પરેશાન નથી. ભૂપેન્દ્રભાઈ આપણા પોતાના છે. તેમણે મને એક ધારાભ્ય તરીકે પોતાની ઓફિસના ઉદ્ઘાટનમાં બોલાવ્યો હતો. લોકો શું બોલે છે અને શું વિચારે છે તેનાથી મને ફરક નથી પડતો. પરંતુ હું જોખમમાં નથી. એનું કારણ તમે બધા લોકો છો. મારૂં અસ્તિત્વ તમારા બધાના કારણે છે. હું લોકોના, મતદારોના અને પાર્ટી કાર્યકરોના દિલમાં રહું છું. મને ત્યાંથી કોઈ ન કાઢી શકે. હું પહેલા ઘણાં લાંબા સમય સુધી વિપક્ષમાં (જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી) હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/393p3fG
via IFTTT

ટિપ્પણીઓ નથી: