રાહુલ ગાંધીએ કહ્યુંઃ મારા પિતાની વાત માની લીધી હોત તો સંજય ગાંધી બચી જાત


- યુથ કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જીવન સાથે સંકળાયેલી તસ્વીરોના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું

નવી દિલ્હી, તા. 03 સપ્ટેમ્બર, 2021, શુક્રવાર

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ઉડાન પ્રત્યેના પોતાના પ્રેમને યાદ કરીને સંજય ગાંધીના વિમાન દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અંગે મોટું રહસ્યોદ્ઘાટન કર્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અંકલ સંજય ગાંધી મારા પિતા રાજીવ ગાંધીની વાત માની લેતા તો કદાચ દુર્ઘટના ન બનેત. 

પિતાએ (રાજીવ ગાંધીએ) પોતાના ભાઈ સંજયને પિટ્સ જેવા આક્રમક વિમાન ઉડાડવાની ના પાડી હતી પરંતુ તેઓ માન્યા નહોતા. રાહુલે જણાવ્યું કે, પાયલટ જ્યારે વિમાન ઉડાડે છે, તેની કલ્પનાશીલતા રોડ, રેલવે લાઈન દ્વારા અવરૂદ્ધ નથી થતી. તેમની કલ્પનાશીલતા 30,000 ફૂટની ઉંચાઈએ હોય છે, માટે તેમની પણ ક્ષમતા મોટા તંત્રને જોવાની છે. 

યુથ કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જીવન સાથે સંકળાયેલી તસ્વીરોના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તે તસ્વીરો સાથે સંકળાયેલી યાદો શેર કરતી વખતે રાહુલ ગાંધીએ એક વીડિયોમાં પરિવાર સાથે સંકળાયેલી વાતોનો ખુલાસો કર્યો હતો. 

રાહુલે જણાવ્યું કે, વિમાન ઉડાડવાનો જેટલો અનુભવ તેમના પાસે છે 300-350 કલાક, તેટલો જ અંકલ સંજય ગાંધી પાસે પણ હતો. સંજય ગાંધી પણ વિમાન ઉડાડવાના શોખીન હતા અને 23 જૂન, 1980ના રોજ એક વિમાની દુર્ઘટનામાં તેઓ મૃત્યુ પામ્યા હતા. 

રાહુલે એક ફોટો બતાવીને કહ્યું કે, પિતા હંમેશા તેમને કોકપિટમાં બેસાડતા અને તમામ સવાલોના જવાબ આપતા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સોનિયા ગાંધી અનેક વખત પિતા પ્લેન ઉડાવે તેને લઈ ચિંતિત થઈ જતા હતા. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n0921Z
via IFTTT

ટિપ્પણીઓ નથી: