પંજશીરની પહાડીઓ પર ફાઈટર્સે સંભાળ્યો મોરચો, તાલિબાન વિરૂદ્ધ ગેરિલા યુદ્ધ શરૂ કર્યું


- નોર્ધન એલાયન્સના પ્રમુખ અહમદ મસૂદ હાલ છેલ્લા 3 દિવસથી તાઝિકિસ્તાનમાં હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર, 2021, સોમવાર

તાલિબાને અફઘાનિસ્તાનના પંજશીર ક્ષેત્ર પર કબજાનો દાવો કરી દીધો છે. પંજશીરના ગવર્નર હાઉસ પર તાલિબાને પોતાનો ઝંડો લહેરાવી દીધો છે. પંજશીર અંતિમ પ્રદેશ હતું જ્યાં હજુ સુધી તાલિબાન નહોતું પહોંચી શક્યું. જોકે નોર્ધન એલાયન્સે તાલિબાનના આ દાવાને નકારી દીધો છે. 

પોતાની જાતને અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરી ચુકેલા અમરૂલ્લા સાલેહના અંગત ગણાતા એક વ્યક્તિએ જણાવ્યું કે, તાલિબાનનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. નોર્ધન એલાયન્સના ફાઈટર્સ હજુ પણ પહાડી વિસ્તારોમાં છે અને તાલિબાનનો મુકાબલો કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, અમરૂલ્લા સાલેહ હાલ સુરક્ષિત જગ્યાએ છે અને કોઈને છોડીને ક્યાંય નથી ગયા. તાલિબાન સામેની લડાઈની આગેવાની કરી રહ્યા છે. નોર્ધન એલાયન્સના કહેવા પ્રમાણે તાલિબાન હાલ પાકિસ્તાનની મદદથી પંજશીરમાં ઘૂસવા પ્રયત્ન કરી રહ્યું છે. 

નોર્ધન એલાયન્સના પ્રમુખ અહમદ મસૂદ હાલ છેલ્લા 3 દિવસથી તાઝિકિસ્તાનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમની આગેવાનીમાં જ નોર્ધન એલાયન્સ તાલિબાન સામે લડી રહ્યું છે. 

પંજશીર અંગે તાલિબાનનો દાવો

તાલિબાને સોમવારે પંજશીર પર કબજાનો દાવો કર્યો હતો અને નેશનલ રેજિસ્ટેન્સ ફ્રન્ટ ઓફ અફઘાનિસ્તાને તેને નકારવાનું કામ કર્યું હતું. NRFના કહેવા પ્રમાણે તેમના ફાઈટર્સ અલગ અલગ જગ્યાએ તૈનાત છે અને જંગ લડી રહ્યા છે. અગાઉ NRFએ તાલિબાન સામે વાતચીતનો પ્રસ્તાવ મુક્યો હતો અને તાલિબાને તરત હુમલા બંધ કરી વાતચીતથી મુદ્દો ઉકેલવો જોઈએ તેમ કહ્યું હતું. જોકે તાલિબાને તે પ્રસ્તાવ નકારી દીધો હતો. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h8IhoC
via IFTTT

ટિપ્પણીઓ નથી: