પંજાબમાં ગુજરાતવાળી : મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળનું રાજીનામું

(પીટીઆઈ) ચંડીગઢ, તા. ૧૮
ભાજપ શાસિત ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળે રાજીનામું આપ્યાને હજી માંડ એક અઠવાડિયું થયું છે ત્યાં હવે કોંગ્રેસ શાસિત પંજાબમાં શનિવારે મુખ્યમંત્રી અમરિન્દરસિંહ સહિત આખા મંત્રીમંડળે રાજીનામું આપી દીધું છે. જોકે, બંને મંત્રીમંડળોના રાજીનામામાં મૂળભૂત તફાવત એ હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ચૂપચાપ રાજીનામું આપી દીધું જ્યારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે શનિવારે રાજીનામું આપ્યા પછી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે વાત કરી હતી અને પક્ષમાં વારંવાર તેમનું અપમાન થઈ રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. પંજાબમાં નવા મુખ્યમંત્રીની નિમણૂક માટે સાંજે યોજાયેલી પંજાબ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં અમરિન્દરના સમર્થક ધારાસભ્યો સહિત ૭૮ ધારાસભ્યોએ હાજરી આપી હતી.
ચંડીગઢમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની શનિવારે સાંજે બેઠક પહેલાં જ મુખ્યમંત્રી અમરિન્દરસિંહે રાજભવન પહોંચીને રાજ્યપાલને રાજીનામું આપી દીધું. અમરિન્દરના રાજીનામાના થોડાક સમય પછી મંત્રીમંડળે પણ રાજીનામું આપી દીધું હતું.
રાજભવનની બહાર અમરિન્દરે જણાવ્યું કે તેમણે સવારે જ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને તેમના રાજીનામાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં ત્રીજી વખત મારું અપમાન કરાયું છે. તેમના દ્વારા સરકાર ચલાવવા અંગે આશંકા વ્યક્ત કરાઈ છે. છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત કોંગ્રેક વિધાનસભા પક્ષની બેઠક મળી રહી છે. હું અપમાનિત થયાનું અનુભવી રહ્યો છું. તેથી મેં મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. મારા માટે ભવિષ્યના રાજકારણના બધા જ વિકલ્પ ખુલ્લા છે. હું મારા સમર્થકો સાથે બેસીને ભવિષ્યની રણનીતિ તૈયાર કરીશ.
કેપ્ટન અમરિન્દરે કહ્યું કે, હાલ હું કોંગ્રેસમાં જ છું. મેં માત્ર મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. આ પહેલાં અમરિન્દરસિંહે સિસવાં ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે તેમના સમર્થકો, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજી હતી. આ બેઠક પછી અમરિન્દર સમર્થકો સાંજે કોંગ્રેસ ભવનમાં વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અમરિન્દરના રાજીનામા પછી નવા મુખ્યમંત્રીની નિમણૂક કરવા માટે શનિવારે સાંજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. નવા મુખ્યમંત્રીની રેસમાં વર્તમાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ અને ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતને તેમનું રાજીનામું સોંપ્યું હતું. તેમની સાથે મુખ્ય પ્રિન્સિપલ સેક્રેટરી સુરેશ કુમાર, સાંસદ પત્ની પરનીત કૌર અને અન્ય વરિષ્ઠ સાથીઓ પણ સામેલ હતા. રાજીનામું આપતાં પહેલાં અમરિન્દરે તેમના સમર્થકો સાથે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ શનિવારે સવારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ અમરિન્દર પાસેથી રાજીનામું માગી લીધું હતું.
નવા મુખ્યમંત્રીની પસંદગી માટે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત અને બે કેન્દ્રીય નિરિક્ષકો અજય માકન અને હરીશ રાય ચૌધરી ચંડીગઢ પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી અમરિન્દરસિંહને મુખ્યમંત્રીપદેથી હટાવવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી. અમરિન્દરે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાની સાથે કોંગ્રેસ છોડવાની પણ ધમકી આપી છે. જોકે, તેની પુષ્ટી થઈ શકી નથી. પંજાબમાં વિધાનસભા ચૂંટણીને માત્ર છ મહિના બાકી છે તેવામાં કોંગ્રેસમાં ફરી વિખવાદ સામે આવ્યો છે અને કોંગ્રેસે તેના સૌથી મજબૂત મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરનું રાજીનામુ માંગી લીધું છે.
અગાઉ ત્રણ દિવસ પહેલાં કોંગ્રેસના ૪૦ ધારાસભ્યોએ સોનિયા ગાંધીને પત્ર લખીને અમરિન્દરસિંહ વિરુદ્ધ અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમણે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાની માગણી કરી હતી. આ અગાઉ ૨૫મી ઑગસ્ટે પણ કોંગ્રેસ ધારાસભ્યોએ હાઈકમાન્ડને પત્ર લખીને બેઠક બોલાવવા માગણી કરી હતી. જોકે, તે સમયે અમરિન્દરે અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવી લીધા હતા. પંજાબમાં ૨૦૧૯માં નવજોતસિંહ સિદ્ધુએ મંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી અમરિન્દર અને નવજોતસિંહ વચ્ચેનો અણબનાવ જગજાહેર છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ તરીકે સિદ્ધુની નિમણૂકથી પણ કેપ્ટન અમરિન્દર નારાજ હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nLqM1z
via IFTTT
ટિપ્પણીઓ નથી: