UPના ભાજપ અધ્યક્ષે કહ્યુંઃ 'સપા-બસપા-કોંગ્રેસને મત આપવો પાપ છે, તેમને મંદિર જવામાં ડર લાગે છે'

- મુલાયમ સિંહે સ્વતંત્ર દેવ સિંહને સપામાં જોડાવવા આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા હતી
નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર, 2021, સોમવાર
ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે એક એવું નિવેદન આપ્યું છે જેને લઈ વિવાદ વકરી શકે છે. તેમણે કહ્યું હતું કે, સપા, બસપા અને કોંગ્રેસને મત આપવો પાપ છે. તે લોકોને મંદિર જવામાં ડર લાગે છે માટે તેમને મત આપવો એ પાપ છે. ભાજપ મહિલા કાર્યસમિતિની બેઠક દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, સપા, બસપા અને કોંગ્રેસને મંદિર જવામાં ડર લાગે છે, ભારત માતાની જય બોલવામાં ડર લાગે છે, માટે તેમને મત આપવો એ પાપ છે. વધુમાં જણાવ્યું કે, ખેડૂતોના વેષમાં વિપક્ષ આક્રમણકારી થઈ ગયું છે. તેમણે તાજેતરમાં જ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ તેમનું આ નિવેદન સામે આવ્યું છે.
આ મુલાકાત બાદ મુલાયમ સિંહે સ્વતંત્ર દેવ સિંહને સપામાં જોડાવવા આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા હતી. જોકે તે ફક્ત રાજકીય અટકળો પૂરતું સીમિત રહ્યું હતું.
યુપીમાં થોડા મહિનાઓમાં ચૂંટણી યોજાશે
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. 2017ની ચૂંટણીમાં ભાજપે ત્યાંની 403 બેઠકોમાંથી 312 બેઠકો પર વિજય મેળવ્યો હતો. સપા અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યું હતું. સપાએ 47 અને કોંગ્રેસે 7 જ બેઠકો પર વિજય મેળવ્યો હતો. માયાવતીની બસપા 19 બેઠકો જીતવામાં સફળ રહી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l2a7UD
via IFTTT
ટિપ્પણીઓ નથી: