રાખી સાવંત સાથે કરી મહાત્મા ગાંધીની તુલના, વિવાદ બાદ UP વિધાનસભાના સ્પીકરે કરી સ્પષ્ટતા

- 'ઓછા કપડાં પહેરવાથી કે કપડાં ઉતારવાથી કોઈ મોટું બનતું તો આજે રાખી સાવંત મહાત્મા ગાંધી કરતા પણ દિગ્ગજ હોત'
નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર, 2021, સોમવાર
ઉત્તર પ્રદેશ વિધાનસભાના સ્પીકર અને ઉન્નાવ જિલ્લાના ધારાસભ્ય હૃદય નારાયણ દીક્ષિતે તાજેતરમાં આપેલા એક વિવાદિત નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. ગત શનિવારે બાંગરમઉ ખાતે એક કાર્યક્રમ દરમિયાન તેમણે મહાત્મા ગાંધી અને રાખી સાવંતની તુલના સાથે સંબંધિત એક નિવેદન આપ્યું હતું. તેમનું નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું હતું. જોકે વીડિયો વાયરલ થયા બાદ તેમણે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, સોશિયલ મીડિયા પર કેટલાક મિત્રો મારા ભાષણના એક વીડિયો અંશને અન્યથા અર્થોના સંકેત સાથે પ્રસારિત કરી રહ્યા છે. વાસ્તવમાં તે ઉન્નાવના પ્રબુદ્ધ સંમેલનમાં મારા ભાષણનો અંશ છે. તેમાં સંમેલન સંચાલકે મારો પરિચય આપતી વખતે મને પ્રબુદ્ધ લેખક ગણાવ્યો હતો. મેં એ બિંદુ પર વાત આગળ વધારતા કહ્યું હતું કે, કેટલાક પુસ્તકો અને લેખો લખવાથી જ કોઈ પ્રબુદ્ધ નથી બની જતું. મહાત્મા ગાંધી ઓછા કપડાં પહેરતા હતા, દેશે તેમને 'બાપૂ' કહ્યા. પરંતુ તેનો અર્થ એવો નથી કે, રાખી સાવંત પણ ગાંધીજી બની જશે. મિત્રગણ મારા ભાષણને વાસ્તવિક સંદર્ભમાં જ ગ્રહણ કરવાની કૃપા કરે. આભાર.
શું નિવેદન હતું
હૃદય નારાયણ દીક્ષિતે પ્રબુદ્ધ સંમેલન દરમિયાન મહાત્મા ગાંધી માટે કહ્યું હતું કે, ગાંધીજી ઓછા કપડાં પહેરતા હતા, ધોતી ઓઢતા હતા, ગાંધીજીને દેશે બાપૂ કહ્યા, જો કપડાં ઉતારવાથી કોઈ મહાન બની જતું તો રાખી સાવંત મહાન બની જતી. વધુમાં કહ્યું હતું કે, મેં 6,000 પુસ્તકો વાંચ્યા છે અને તેનું વિશ્લેષણ પણ કર્યું છે.
તેમણે મહાત્મા ગાંધીના ઉલ્લેખ સાથે કહ્યું હતું કે, તેઓ ઓછા કપડાં પહેરતા હતા તો દેશે તેમને બાપૂ કહ્યા, પરંતુ એવું નથી કે ઓછા કપડાં પહેરવાથી કોઈ બૌદ્ધિક બની જાય છે. ઓછા કપડાં પહેરવાથી કે કપડાં ઉતારવાથી કોઈ મોટું બનતું તો આજે રાખી સાવંત મહાત્મા ગાંધી કરતા પણ દિગ્ગજ હોત. દીક્ષિતનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. વિવાદ અને ટીકા બાદ હવે તેમણે આ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zp6L2Y
via IFTTT
ટિપ્પણીઓ નથી: