02 ઓક્ટોબરઃ આજે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ, જાણો કઈ રીતે પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ

- કહેવા માટે તો શાસ્ત્રીજી અહિંસામાં માનતા હતા પરંતુ પોતાની માતૃભૂમિને સૌથી ઉપર રાખતા હતા. આ કારણે જ તેની રક્ષા માટે દુશ્મનોને મારવાનું પણ મંજૂર હતું
નવી દિલ્હી, તા. 02 ઓક્ટોબર, 2021, શનિવાર
આજે 02 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉપરાંત દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતિ છે. શાસ્ત્રીનો જન્મ 02 ઓક્ટોબર, 1904ના રોજ થયો હતો. તેમની સાદગી અને સાહસથી સૌ કોઈ પરિચિત છે. 1965ના યુદ્ધની વાત કરીએ તો જ્યારે 1962ના યુદ્ધમાં ભારત ચીન સામે હારી ગયું હતું ત્યારે પાકિસ્તાનને એવો ભ્રમ બેસી ગયેલો કે ભારતીય સેનાની બાજુઓમાં એટલો દમ નથી. આ વિચાર સાથે પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો હતો. તે સમયે લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે પૂરતી હતી. લાલ બહાદુર શાસ્ત્રી 09 જૂન, 1964ના રોજ દેશના બીજા વડાપ્રધાન બન્યા હતા.
* 1962માં ચીન સાથેના યુદ્ધમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો.
* તે સમયે ભારતની હારને પાકિસ્તાને પોતાના ભાવિ વિજય સમાન ગણી હતી.
* પાકિસ્તાનની અય્યૂબ ખાન સરકારે તે તકનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું હતું.
* પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અય્યૂબ ખાને 1965ની કાળઝાળ ગરમીમાં ઓપરેશન જિબ્રાલ્ટર છેડી દીધું હતું અને ભારતીય સેનાની કોમ્યુનિકેશન લાઈન ધ્વંસ્ત કરવાના ઈરાદા સાથે હજારો સૈનિકોને કાશ્મીર મોકલ્યા હતા.
* એટલું જ નહીં, કાશ્મીરી મુસ્લિમોને પોતાના પક્ષમાં કરવા તેમણે ભારતીય સેનાના જમીન પર કબજાની વાત ફેલાવી દીધી હતી.
* જોકે પાકિસ્તાનનો ઉદ્દેશ્ય પાર ન પડી શક્યો.
* કાશ્મીરી ખેડૂતો અને ગુજ્જર પશુપાલકોએ દુશ્મન ફોજની ઘૂસણખોરી અંગે ભારતીય સેનાને જાણ કરી દીધી.
* તેવામાં પાકિસ્તાન પર ઉલટો પ્રહાર થયો અને ઓપરેશન જિબ્રાલ્ટર તેમના પર જ ઉલટું પડ્યું.
* ભારતીય સેનાએ તે વખતે વડાપ્રધાન શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલા આદેશને અંજામ આપ્યો હતો. તેમણે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસીને બે બાજુથી પ્રહાર કર્યો હતો.
* પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અય્યૂબ ખાનની બીજી સૌથી મોટી ભૂલ હતી ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાનની ટેન્ક અને ક્રૈક ઈન્ફૈંટ્રી રેજિમેન્ટને કેટલાક આદેશ આપવામાં આવ્યા હતા. આદેશ હતો છામ્બ-જૌરિયાન પાર કરવાનો.
* અખનૂર પર કબજો કરવાનો જેથી તેઓ જમ્મુના મેદાનોમાં આરામ કરી શકે.
* ભારતીય સેનાની સંપર્ક અને સપ્લાય લાઈનોને તબાહ કરી શકે.
* જોકે ઉચ્ચ સ્તરીય રણનીતિ દ્વારા જમ્મુ કાશ્મીરના છામ્બ-અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનની હુમલાખોર ફોજને ધૂળ ચટાડી દેવામાં આવી હતી જેથી તેઓ ભાગી ગયા હતા.
* ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું જ્યારે ભારતીય થલ સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરવાની સાથે જ મેજર જનરલ પ્રસાદના નેતૃત્વમાં લાહોર પર હુમલો પણ કર્યો હતો.
* સિયાલકોટ અને લાહોર પર હુમલો કરવાની રણનીતિ શાસ્ત્રીજીની જ હતી.
* શરૂઆતમાં પાકિસ્તાની સેના સફળ રહી. અય્યૂબે પોતાના સિપાહીઓને કહ્યું હતું કે, 'તમે તમારા દાંત દુશ્મનના માંસમાં ખૂંપાડી દીધા છે, ખૂબ ઉંડે બચકું ભર્યું છે અને તેમને લોહીઝાણ છોડી દીધા છે.'
* તે સમયે અય્યૂબે એક બહુ મોટી ભૂલ કરી. તેમણે ઈન્ફૈંટ્રી ડિવિઝન લેવલ પર કમાનમાં ફેરફારનો આદેશ આપ્યો. તે આદેશ હતો જીઓસીને બદલીને મેજર જનરલ યાહ્યા ખાનના હાથમાં કમાન સોંપવી.
* ફેરફારના કારણે ફોર્સ પર અસર પડી અને એક દિવસ કોઈ કામ ન થયું.
* ભારતીય જનરલને પોતાની શક્તિ વધારવા તક મળી ગઈ.
* કહેવા માટે તો શાસ્ત્રીજી અહિંસામાં માનતા હતા પરંતુ પોતાની માતૃભૂમિને સૌથી ઉપર રાખતા હતા. આ કારણે જ તેની રક્ષા માટે દુશ્મનોને મારવાનું પણ મંજૂર હતું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39XZmNZ
via IFTTT
ટિપ્પણીઓ નથી: