બુદ્ધ બાદ હવે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પર બનશે 3 સર્કિટ, પર્યટન મંત્રાલયે તૈયાર કર્યો ડ્રાફ્ટ

- દેશની તમામ શાળાઓ અને કોલેજીસમાં 2022માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આધારીત કાર્યક્રમો યોજાશે
નવી દિલ્હી, તા. 24 ઓક્ટોબર, 2021, રવિવાર
રામાયણ અને બુદ્ધ સર્કિટ બાદ સરકાર હવે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સર્કિટ બનાવવા જઈ રહી છે. સરકારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે સંકળાયેલા સ્થાનોને દર્શનીય સ્થળ તરીકે વિકસિત કરવાની યોજના બનાવી છે. દેશભરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે સંકળાયેલા 3 સર્કિટ બનશે.
પહેલું સર્કિટ દિલ્હી-મેરઠ-ડેલહાઉસીથી સુરત સુધીનું હશે. બીજું સર્કિટ કોલકાતાથી નાગાલેન્ડના રૂજજ્હો ગામ સુધી બનશે. જ્યારે કટક-કોલકાતાથી આંદામાન સુધી પણ બનશે. આ સર્કિટને રેલ અને હવાઈ માર્ગ વડે પણ જોડવામાં આવશે. આશા છે કે, આગામી વર્ષે જાન્યુઆરી 2022માં આ સર્કિટ ચાલુ થઈ જશે.
કેન્દ્રીય પર્યટન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવી રહ્યો છે. આગામી વર્ષે 23 જાન્યુઆરી, 2022ના રોજ મોટો કાર્યક્રમ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગે આ ત્રણેય સર્કિટ શરૂ કરવાની છે. તે અંતર્ગત નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે સંકળાયેલા સ્થળોને આપસમાં જોડવામાં આવશે જેથી પર્યટકો ઉપરાંત યુવાનોને તેની જાણકારી મળી શકે.
શિક્ષણ મંત્રાલય તૈયાર કરી રહ્યું છે થીમ સોંગ
દેશની તમામ શાળાઓ અને કોલેજીસમાં 2022માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આધારીત કાર્યક્રમો યોજાશે. તેમાં વિદ્યાર્થીઓ નેતાજી અને તેમની સેના જેવા કપડાં પહેરશે. આ કાર્યક્રમમાં કદમ-કદમ બઢાએ જા (આઈએનએ માર્ચ સોંગ) ગીત મુખ્ય રહેશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m6LtUl
via IFTTT
ટિપ્પણીઓ નથી: