હાઈ કોર્ટે કહ્યું- 5 ઈંટો અને એક મૂર્તિ રાખીને મંદિર બને તો આખા શહેરમાં અતિક્રમણ થઈ જશે

- ગેરકાયદેસર નિર્માણનો લાભ ઉઠાવીને કેટલાક લોકો ત્યાં એકઠા થાય છે અને ઉપદ્રવ અને જુગારમાં લિપ્ત થાય છે
નવી દિલ્હી, તા. 22 ઓક્ટોબર, 2021, શુક્રવાર
દિલ્હી હાઈકોર્ટના કહેવા પ્રમાણે જો ફક્ત 5 ઈંટો અને એક મૂર્તિ રાખીને ધાર્મિક ઢાંચો સ્થાપિત કરવામાં આવે તો પછી સમગ્ર શહેરમાં અતિક્રમણ થઈ જશે. કોર્ટે ડિફેન્સ કોલોની ખાતે એક મંદિરને પાડી દેવાની માગણી કરતી અરજીની સુનાવણી દરમિયાન આ પ્રકારની ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું કે, ધાર્મિક સમિતિને આ પ્રકારના અસ્થાયી ઢાંચાના સ્થાનાંતરણ માટે ન કહી શકાય.
ન્યાયમૂર્તિ રેખા પલ્લીએ જણાવ્યું કે, બસ થોડી ઈંટો લગાવીને મંદિરનું સ્વરૂપ આપીને સમગ્ર મામલે ધાર્મિક સમિતિને સામેલ ન કરી શકાય. જો તે મોટું મંદિર છે તો પછી ધાર્મિક સમિતિ અંગે વિચાર કરી શકાય. પરંતુ જો કોઈ રાતોરાત ઈંટો મુકી દે તો શું તે અંગે વિચાર કરવામાં આવશે? જો તમારી વિચારસરણી આવી જ હોય તો તમે આખા દિલ્હી પર અતિક્રમણ કરી લેશો.
કોર્ટે મંદિરને જાળવી રાખવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ આ વાતે સંતુષ્ટ નથી. તે ઢાંચો યોગ્ય રીતે કવર પણ નથી અને તમને ધાર્મિક સમિતિની આવશ્યકતા છે પરંતુ તેનાથી અવ્યવસ્થા ફેલાશે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કોઈએ કોવિડ-19 મહામારી દરમિયાન અરજીકર્તાની સંપત્તિની સામે જ ભીષ્મ પિતામહ માર્ગ પર સાર્વજનિક જમીન પર એક મંદિરનું ગેરકાયદેસર નિર્માણ કર્યું. ગેરકાયદેસર નિર્માણનો લાભ ઉઠાવીને કેટલાક લોકો ત્યાં એકઠા થાય છે અને ઉપદ્રવ અને જુગારમાં લિપ્ત થાય છે. અતિક્રમિત ઢાંચાના કારણે અરજીકર્તાની ઈમારત પણ બાધિત થઈ છે.
દિલ્હી સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, તે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા મંદિર, અતિક્રમણને ધ્વસ્ત કરશે અને અધિકારીઓ પોતાના કર્તવ્ય પ્રત્યે સચેત છે. દિલ્હી સરકારના એડિશનલ સ્થાયી વકીલ અનુપમ શ્રીવાસ્તવે ગુરૂવારે કોર્ટને જણાવ્યું કે, ધાર્મિક સમિતિમાં મંદિર તોડવાનો નિર્ણય લેવાનો બાકી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3GclrY4
via IFTTT
ટિપ્પણીઓ નથી: