દેશમાં કોલસાની કોઈ અછત નથી, ક્યાંય અંધારપટ નહીં થાય : કોલસા મંત્રી


નવી દિલ્હી, તા.૧૦

દિલ્હીથી લઈને આંધ્ર પ્રદેશ સુધીના રાજ્યોએ કોલસાની અછતના કારણે વીજકટોકટીની સમસ્યા સર્જાવાની ચેતવણી આપતાં કેન્દ્ર સરકારે રવિવારે વીજ એકમોને વીજળીના ઉત્પાદન માટે પર્યાપ્ત સંશાધનો મળી રહે તે માટે બધા જ સંશાધનોનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. અનેક રાજ્યોમાં બ્લેકઆઉટ અંગે લોકોમાં ભય ફેલાયેલો છે ત્યારે કોલસા મંત્રીએ વીજપૂરવઠાની સમસ્યાને માત્ર અફવા ગણાવી છે. તેમણે રાજ્ય સરકારો સહિત બધાને આશ્વાસન આપતા કહ્યું કે વીજળીનો પૂરવઠો ખોરવાઈ જવાનું જરા પણ જોખમ નથી. કોલ ઈન્ડિયા લિ. પાસે ૨૪ દિવસની કોલસાની માગ જેટલો ૪૩ મિલિયન ટનનો પર્યાપ્ત સ્ટોક છે.

દેશમાં આ વર્ષે કોલસાનું વિક્રમી ઉત્પાદન થયું છે ત્યારે કોલસાની ખાણો ધરાવતા રાજ્યોમાં મૂશળધાર વરસાદના કારણે વીજએકમોને કોલસો પૂરો પાડવાની સપ્લાય લાઈન ખોરવાઈ જતાં પંજાબ, રાજસ્થાન, દિલ્હી અને આંધ્ર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વીજ ઉત્પાદન પર તેની અસર થઈ છે. વધુમાં આયાતી કોલસો મોંઘો થતાં તેના પર નિર્ભર વીજ ઉત્પાદન એકમોએ તેમના એકમોમાં વીજ ઉત્પાદન ઘટાડી દીધું છે અથવા એકમો જ બંધ કરી દીધા છે. આ પરીબળે પણ સમસ્યામાં વધારો કર્યો છે. આયાતી કોલસો મોંઘો થવાથી ગુજરાતને ૧,૮૫૦ મેગાવોટ, પંજાબને ૪૭૫ મેગાવોટ, રાજસ્થાનને ૩૮૦ મેગાવોટ, મહારાષ્ટ્રને ૭૬૦ મેગાવોટ અને હરિયાણાને ૩૮૦ મેગાવોટ વીજળી પૂરી પાડતી તાતા પાવરે મુંદ્રામાં તેનો આયાતી કોલસા આધારિત પાવર પ્લાન્ટ બંધ કરી દીધો છે.

જોકે, કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે, દેશમાં કોલસાના ઉત્પાદન અને પૂરવઠાની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી છે. બધાને વિશ્વાસ અપાવતા કહું છું કે વિજળીનો પૂરવઠો ખોરવાઈ જવાનું કોઈ જોખમ નથી. દેશમાં કોલસાનો પર્યાપ્ત ભંડાર છે. કોઈએ પણ લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે થર્મલ પાવર પ્લાન્ટ્સમાં રોલિંગ સ્ટોક દૈનિક પૂરવઠા સાથે ભરાઈ રહ્યો છે. આ સિવાય ચોમાસાએ વિદાય લેવાની સાથે આગામી દિવસોમાં કોલસાની ખેપ વધારવાની સંભાવના છે, જેથી કોલસાનો સ્ટોક વધી જશે.

કોલસા મંત્રાલય મુજબ પાવર પ્લાન્ટ પાસે હજી પણ કોલસાનો લગભગ ૭૨ લાખ ટન સ્ટોક છે, જે ૪ દિવસની આવશ્યક્તા માટે પર્યાપ્ત છે. અને કોલ ઈન્ડિયા લિ. પાસે ૪૦૦ લાખ ટનથી વધુનો સ્ટોક છે, જેનાથી પાવર પ્લાન્ટ માટે કોલસાનો પૂરવઠો પૂરો પાડી શકાય છે.

કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે, કોલસા કંપનીઓને મજબૂત પૂરવઠાના આધારે સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં ઘરેલુ કોલસા આધારિત વીજળી ઉત્પાદનમાં આ વર્ષે લગભગ ૨૪ ટકાની વૃદ્ધિ થઈ છે. પાવર પ્લાન્ટમાં કોલસાની દૈનિક સરેરાશ આવશ્યક્તા લગભગ દૈનિક ૧૮.૫ લાખ ટન છે જ્યારે દૈનિક કોલસાનો પૂરવઠો લગભગ દૈનિક ૧૭.૫ લાખ ટન છે. કોલસાની ખાણોના વિસ્તારમાં મૂશળધાર વરસાદ છતાં કોલ ઈન્ડિયાએ આ વર્ષે વીજ સેક્ટરને ૨૫૫ મિલિયન ટન કોલસાનો પૂરવઠો પૂરો પાડયો છે, જે પહેલા છ માસમાં સૌથી વધુ પૂરવઠો છે. કોલ ઈન્ડિયા દ્વારા પાવર સેક્ટરને દૈનિક ૧૪ લાખ ટનથી વધુનો કોલસો પૂરો પાડવામાં આવ્યો છે. એટલું જ નહીં આ પૂરવઠો વધારીને દૈનિક ૧૫ લાખ ટન કરાયો છે અને આ મહિનાના અંત સુધીમાં તેને વધુ વધારીને દૈનિક ૧૬ લાખ ટન કરવાનો છે.

આ પહેલા કેન્દ્રીય ઊર્જા મંત્રી આર. કે. સિંહે દેશમાં મોટાપાયે વીજકટોકટીના દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. કારણ કે વીજકટોકટી છે જ નહીં. ઊર્જા મંત્રાલયના ડેટા મુજબ વીજ વપરાશ શનિવારે બે ટકા ઘટીને ૩,૮૨૮ મિલિયન યુનિટ રહ્યો હતો, જે શુક્રવારે ૩,૯૦૦ મિલિયન યુનિટ હતો. વીજ મંત્રાલયે કહ્યું કે, શનિવારે કોલસાનો કુલ પૂરવઠો ૧.૯૨ મિલિયન ટન હતો જ્યારે કુલ વપરાશ ૧.૮૭ મિલિયન ટન હતો. આમ, કોલસાના વપરાશ કરતાં પૂરવઠો વધુ છે. વધુમાં કોલસાનો પુરવઠો ધીમે ધીમે વધારવામાં આવી રહ્યો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DwbMcO
via IFTTT

ટિપ્પણીઓ નથી: