આમિર ખાનના નવા વિજ્ઞાપન અંગે ભાજપના નેતાએ ઉઠાવ્યો સવાલ, કહી આ વાત


- આ ઉપરાંત નામ લીધા વગર જ આમિર ખાન માટે કહ્યું કે, કેટલાક અભિનેતાઓ સતત હિંદુ સમૂદાયની લાગણીઓને દુભાવવાનું કામ કરે છે અને તેઓ કદી પોતાના સમૂદાયના ખોટા કામો પર પ્રકાશ નથી પાડતા

નવી દિલ્હી, તા. 22 ઓક્ટોબર, 2021, શુક્રવાર

અભિનેતા આમિર ખાનનું એક વિજ્ઞાપન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. એડમાં આમિર ખાન લોકોને રસ્તાઓ પર ફટાકડા ન ફોડવા માટે વિનંતી કરી રહ્યો છે. આ એડ ટાયર કંપની Ceat Ltdની છે. આ એડ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર એક જૂથ તેને હિંદુ વિરોધી ગણાવી રહ્યું છે. ભાજપના નેતા અનંત કુમાર હેગડેએ પણ વિરોધ નોંધાવ્યો છે. 

ભાજપના નેતાએ Ceat Ltdના ચેરમેનને એક ચિઠ્ઠી લખી છે. ચિઠ્ઠીમાં તેમણે કટાક્ષના સૂરમાં લખ્યું છે કે, દેશમાં લોકોને એ નમાજથી પણ તકલીફ અનુભવાય છે જે રસ્તાઓ પર પઢવામાં આવે છે અને કલાકો સુધી તેમણે બ્લોક રહેવું પડે છે. તમારી કંપનીની એડમાં આમિર ખાન લોકોને ફટાકડાં ન ફોડવાની વિનંતી કરી રહ્યો છે. આ એક સારો સંદેશો છે પરંતુ શું તમે અન્ય એક સમસ્યાને પણ તમારી એડના માધ્યમથી બતાવી શકશો. દેશમાં નમાજના નામે અનેક રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવે છે. મુસ્લિમ સમૂદાયના અન્ય કેટલાક તહેવારો પણ આવા જ હોય છે. 

ભાજપના નેતાએ ચિઠ્ઠીમાં નમાજ ઉપરાંત અજાનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, અજાન દરમિયાન ખૂબ જ અવાજ થાય છે, અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, શિક્ષકો બાળકોને ભણાવી નથી શકતા. આ અવાજ નિર્ધારિત મર્યાદા કરતા ખૂબ જ વધારે હોય છે. આ મુદ્દાઓ ઉઠાવીને ભાજપના નેતાએ કહ્યું કે, તમારી કંપની લોકોની સમસ્યાઓને લઈ ખૂબ જ સંવેદનશીલ છે. તમે પોતે હિંદુ સમૂદાયના છો, તમે હિંદુઓ પ્રત્યેના આ ભેદભાવને સારી રીતે સમજી શકશો. 

આ ઉપરાંત નામ લીધા વગર જ આમિર ખાન માટે કહ્યું કે, કેટલાક અભિનેતાઓ સતત હિંદુ સમૂદાયની લાગણીઓને દુભાવવાનું કામ કરે છે. તેઓ કદી પોતાના સમૂદાયના ખોટા કામો પર પ્રકાશ નથી પાડતા. ભાજપના નેતાએ અંતમાં એવી વિનંતી કરી હતી કે, કંપની તેમની ફરિયાદ પર ધ્યાન આપે કારણ કે, આ જાહેરાતે હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m26Y8U
via IFTTT

ટિપ્પણીઓ નથી: