આપણે લઘુમતીઓને કેમ બીજા દરજ્જાના નાગરિક ગણીએ છે? બાંગ્લાદેશનુ મીડિયા હિન્દુઓ પર હિંસા અંગે શું કહે છે

નવી દિલ્હી,તા.19 ઓક્ટોબર 2021,મંગળવાર
બાંગ્લાદેશમાં ફરી એક વખત હિન્દુ સમુદાય પર થયેલા અત્યાચારોના પગલે સવાલો ઉઠયા છે. દુર્ગા પૂજા સમયથી હિન્દુઓ પર શરૂ થયેલી હિંસા હજી પણ ચાલુ છે.
બાંગ્લાદેશના મીડિયામાં પણ આ હિંસા સામે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. બાંગ્લાદેશના એક લેખક સોહરાબ હસને પોતાના લેખમાં લખ્યુ છે કે, બાંગ્લાદેશમાં અલગ અલગ જગ્યાએ હિન્દુઓ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં બહુમતી સમુદાયે આગળ આવવુ પડશે અને તેની સામે બોલવુ પણ પડશે.
તેમણે આગળ લખ્યુ છે કે, 2001માં પણ ચૂંટણી દરમિયાન હિંસા થઈ ત્યારે કોઈ કારણ વગર હિન્દુ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી હિ્ન્દુઓના મંદિરો તેમજ ધાર્મિક સ્થળો પર થયેલી તોડફોડ બતાવી રહી છે કે, બહુમતીને કોઈ ફરક પડી રહ્યો નથી. રાજકીય પાર્ટીઓને પણ માત્ર રાજકીય ફાયદો લેવામાં જ રસ છે. બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓને બીજા દરજ્જાના નાગરિક ગણવામાં આવે છે. બાંગ્લાદેશમાં હિન્દુ, બૌધ્ધ અને ખ્રિસ્તી સમુદાયે એકતા પરિષદ બનાવી છે તો આવી શું જરૂર પડી તે અંગે કઈ વાત કરવા તૈયાર નથી. જ્યાં બહુમતી સમુદાય લઘુમતીની સુરક્ષા નથી કરી શકતો ત્યાં આવા સંગઠન બનતા હોય છે.
અન્ય એક અખબારે પોતાના એડિટોરિયલમાં લખ્યુ છે કે, આપણે વિાચરવુ પડશે કે સમયાંતરે આ પ્રકારની ભયાનક ઘટનાઓ કેમ બની રહી છે. સાંપ્રદાયિક સદભાવનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની જરૂર છે. જેમાં આખા સમાજની ભૂમિકા મહત્વની છે. હિંસાનો મુદ્દો હવે કાયદો અને વ્યવસ્થા પુરતો સિમિત રહ્યો નથી.
બીજી તરફ અન્ય એક અખબારે તો પોતાના લેખનુ ટાઈટલ જ રાખ્યુ છે કે, લઘુમતીઓ માટે કોઈ દેશ નથી.....જેમાં કહેવાયુ છે કે, દેશમાં કોઈ પણ મુદ્દો હોય અને તેની પાછળ જે પણ કારણ હોય, છેલ્લે તો લઘુમતીઓએ જ સહન કરવાનો વારો આવે છે. બાંગ્લાદેશ ભલે વિકાસ કરી રહ્યુ હોય પણ જ્યાં સુધી દેશના દરેક સમુદાયને સુરક્ષા નહીં આપી શકીએ ત્યાં સુધી સાચા અર્થમાં પ્રગતિ કરી છે તેવુ નહીં કહેવાય.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vrnz9f
via IFTTT
ટિપ્પણીઓ નથી: