ગાંધી જયંતિઃ ટ્વીટર પર ટ્રેન્ડ થયું 'ગોડસે જિંદાબાદ', વરૂણ ગાંધીએ કહ્યું- આ લોકો જ દેશને શર્મસાર કરી રહ્યા છે


- નથુરામ ગોડસેએ 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી

નવી દિલ્હી, તા. 02 ઓક્ટોબર, 2021, શનિવાર

ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ગાંધી જયંતિ પ્રસંગે સોશિયલ મીડિયા પર 'ગોડસે જિંદાબાદ'ના ટ્રેન્ડ અંગે નારાજગી વ્યક્ત કરી છે. વરૂણ ગાંધીએ જણાવ્યું કે, જે લોકો 'ગોડસે જિંદાબાદ' ટ્વીટ કરી રહ્યા છે તે લોકો દેશને બિનજવાબદાર રીતે શરમજનક સ્થિતિમાં મુકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નથુરામ ગોડસેએ 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. આ માટે ગોડસેને ફાંસીની સજા આપવામાં આવી હતી. 

વરૂણ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ભારત હંમેશાથી આધ્યાત્મિક મહાશક્તિ રહ્યું છે. પરંતુ આ મહાત્મા (મહાત્મા ગાંધી) છે જેમણે આપણા રાષ્ટ્રના આધ્યાત્મિક આધારને પોતાના અસ્તિત્વના માધ્યમથી વ્યક્ત કર્યું અને આપણને એક નૈતિક અધિકાર આપ્યો જે આજે પણ આપણી સૌથી મોટી શક્તિ છે. 

ભારત માટે 2 ઓક્ટોબરનો દિવસ ખૂબ જ મહત્વનો છે. 1869માં આજના દિવસે જ ગુજરાતના પોરબંદર ખાતે મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. દર વર્ષે આ દિવસ ગાંધી જયંતિ તરીકે ઉજવાય છે. ત્યારે ગાંધી જયંતિના આ પ્રસંગે ટ્વીટર પર 'ગોડસે જિંદાબાદ' ટ્રેન્ડ કરી રહ્યું છે. તેના પર 61 હજાર કરતા પણ વધારે લોકોએ ટ્વીટ કરી છે. તેઓ નથુરામ ગોડસેના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે. જોકે સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડની ટીકા પણ થઈ રહી છે.  



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3A3lUHB
via IFTTT

ટિપ્પણીઓ નથી: