ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદે વિનાશ વેર્યો, ૪૦ લોકોનાં મોત


નૈનિતાલ, તા.૧૯
ઉત્તરાખંડમાં ફરી એક વખત મૂશળધાર વરસાદ, વાદળ ફાટવા અને અચાનક આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રાકૃતિક આપત્તિમાં ૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે. નૈનીતાલ અને અન્ય ક્ષેત્રોનો દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. મૂશળધાર વરસાદના કારણે કુમાઉ ક્ષેત્ર પર સૌથી વધુ ગંભીર અસર થઈ છે. રાજ્યમાં બચાવ કાર્ય માટે એનડીઆરએફની ૧૫ ટીમો તૈનાત કરાઈ છે, જેમણે ૩૦૦થી વધુ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડયા છે. નૈનીતાલ જિલ્લાના રામગઢમાં વાદળ ફાટયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ વરસાદના કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.

ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદના કારણે કુમાઉ વિસ્તારની સ્થિતિ અત્યંત ખરાબ છે. હવામાન વિભાગે કુમાઉ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કુમાઉ ક્ષેત્રમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં તેમણે આ કુદરતી આપત્તિમાં ભોગ બનનારા લોકોના પરિવારજનોને રૂ. ૪ લાખનું વળતર અને નુકસાન થયું હોય તેમને રૂ. ૧ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. ઉત્તરાખંડમાં છેલ્લા ૪૦ કલાકથી પડતા અનરાધાર વરસાદને કારણે ચંપાવતના તિલવાડા ગામમાં એક ઘરમાં કાટમાળ ઘૂસતા બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. નૈનીતાલના રામગઢ બ્લોકમાં એક મકાન તૂટી પડતાં નવ અને ધારી તાલુકાના ચોખુટા ગામમાં ભૂસ્ખલનનો કાટમાળ તૂટી પડતાં એક જ પરિવારના છ લોકોનાં મોત નીપજ્યાં હતા. ભીમતાલમાં પણ એક મકાન તૂટી પડતાં એક બાળકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું હતું. અલમોડા જિલ્લામાં પર્વત પરથી એક મકાન પર પથ્થરો પડતાં ત્રણ લોકોનાં દબાઈ જવાથી જ્યારે એક મકાનની દિવાલ તૂટી પડતાં એક યુવક એમ ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. અલ્મોડા અને હલ્દાની હાઈવે પર કાટમાળમાં દબાઈ જવાથી બે કામદારોએ જીવ ગુમાવ્યો હતો.
બીજીબાજુ રામનગરમાં એક રિસોર્ટમાં નદીનું પાણી ઘૂસી જતાં ફસાઈ ગયેલા ૨૦૦ પ્રવાસીઓ અને રિસોર્ટના કર્મચારીઓને બચાવી લેવાયા હતા. વરસાદના કારણે નૈનીતાલનો દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. નૈનીતાલના રામગઢ વિસ્તારમાં વાદળ ફાટતાં અનેક મજૂરો તણાયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. વધુમાં નૈની સરોવરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે અને અનેક દુકાનો તથા આજુબાજુના અનેક મકાનોમાં ઘૂસી ગયું છે. કુદરતી આપત્તિનો સામનો કરવા માટે ઉત્તરાખંડમાં એનડીઆરએફની ૧૫ ટીમો તૈનાત કરાઈ છે. ઉધમસિંહ નગરમાં ૩૦૦થી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડાયા છે. નૈનીતાલમાં ૪૦૧ મીમી જ્યારે પિથોરાગઢમાં ૨૧૨.૧ મીમી, મુક્તેશ્વરમાં ૩૪૦.૮ મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે હજુ આગામી ૨૪ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સૈન્યે નૈનિતાલમાં બે અને ગઢવાલ ક્ષેત્રમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ત્રણ હેલિકોપ્ટર મોકલ્યા હતા. વધુમાં અનેક જગ્યાએ પાણી ભરાતા રસ્તાઓ અને રેલવે ટ્રેકનું ધોવાણ થયું છે. ચંપાવતમાં છેલ્લા ૩૬ કલાકથી સતત વરસાદ થઈ રહ્યો હોવાથી અનેક જગ્યાએ ભૂસ્ખલનથી મકાનો પર તૂટી પડવાનું જોખમ સર્જાયું છે. ઉપરાંત શારદા, લોહાવતી, ગંડક, લધિયા સહિત અન્ય નદીઓમાં પૂર આવતાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું છે.
દરમિયાન આગામી બે દિવસમાં કેચમેન્ટ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેરળના ઈડુક્કી જળાશયના ભાગરૂપ ચેરુથોનિ બંધના દરવાજા ખોલી નંખાયા હતા. ઉપરાંત એર્નાકુલમ અને પાથનમથિટ્ટામાં જળાશયોમાં પાણી જોખમી સ્તરને પાર કરી જતાં બંધના દરવાજા ખોલી દેવાયા હતા. હવામાન વિભાગે બુધવાર માટે ૧૧ જિલ્લા અને ગુરુવાર માટે ૧૨ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. આ વિસ્તારોમાં આગામી દિવસોમાં મૂશળધાર વરસાદની સંભાવના છે. જોકે, હાલ રાજ્યમાં સ્થિતિ સામાન્ય છે. દરમિયાન હવામાન વિભાગે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંને રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. લો-પ્રેશર સિસ્ટમના કારણે આગામી બે દિવસમાં વધુ વરસાદની સંભાવના છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aQV0Zx
via IFTTT

ટિપ્પણીઓ નથી: