અરૂણાચલમાં ચીનનો ઘૂસણખોરીનો પ્રયાસ, ભારતે સૈનિકોને હાંકી કાઢ્યા

નવી દિલ્હી, તા.૮
પૂર્વીય લદ્દાખની સાથે ચીન હવે સરહદ પર સંઘર્ષના નવા મોરચા ખોલી રહ્યું છે. ઉત્તરાખંડના બારાહોતી પછી હવે ગયા સપ્તાહે ચીનના અંદાજે ૨૦૦ સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગત્સે નજીક એલએસી ક્રોસ કરીને ઘૂસણખોરી કરી હતી. જોકે, ભારતીય જવાનોએ તેમને અટકાવતાં તેમની વચ્ચે કેટલાક કલાક સુધી તેમની વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. અંતે બંને પક્ષના કમાન્ડરોની વાટાઘાટો પછી મામલો થાળે પડયો હતો અને ચીનના સૈનિકોએ તેમની સરહદમાં પાછા ફરવું પડયું હતું. પૂર્વીય લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે ઉચ્ચ સ્તરની સૈન્ય વાટાઘાટોના વધુ એક તબક્કા પહેલાં જ ચીની ઘૂસણખોરીની બીજી ઘટના છે.
સૈન્યના સૂત્રોએ જણાવ્યું છે કે કેટલાક કલાકો સુધી ફિઝિકલ એન્ગેજમેન્ટ પછી નિશ્ચિત પ્રોટોકોલ મુજબ આ વિવાદનો ઉકેલ લવાયો હતો. આ સંઘર્ષમાં ભારતને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. કોઈની ધરપકડ કરાઈ નથી. કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ૨૦૦ ચીની સૈનિક ભારતમાં ઘૂસી આવ્યા હતા અને થોડાક સમય માટે ચીનના સૈનિકોને ભારતીય સૈન્યે કેદ કર્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ચીની સૈનિકોએ ખાલી બંકરોને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો છે. તવાંગમાં ભારતીય જવાનોએ ચીનના સૈનિકોની ધરપકડ કરી છે. જોકે, સૈન્યે આ અહેવાલોને ફગાવી દીધા હતા.
સૈન્યના સૂત્રોએ જણાવ્યું કે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) અંગે બંને દેશની તેમની માન્યતા છે. ક્યારેક બંને દેશની પેટ્રોલિંગ ટીમનો આમનો સામનો થઈ જાય છે, ત્યારે ફેસઓફની સ્થિતિ બને છે. આવા વિવાદનો નિશ્ચિત પ્રોટોકોલ મુજબ ઉકેલ લાવવામાં આવે છે.
તાજેતરમાં ૩૦મી ઑગસ્ટે ચીની સૈન્યના ૧૦૦થી વધુ સૈનિકો સરહદ પાર કરી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અનેક ઈન્ફ્ર્સ્ટ્રક્ચર તોડી નાંખ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ ચીની સૈનિકોએ ત્યાંથી પાછા ફરતા પહેલાં એક પૂલ પણ તોડયો હતો. આ ઘટનામાં બંને સૈન્ય વચ્ચે આમને-સામનેની સ્થિતિ પેદા થઈ નહોતી, કારણ કે જ્યાં સુધીમાં ભારતીય સૈનિકો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ચીની સૈનિકો ભાગી છૂટયા હતા. તે સમયે તુન જુન લા પાસ પાર કરીને ૫૫ ઘોડા અને ૧૦૦થી વધુ સૈનિકો ભારતીય સૈન્યમાં પાંચ કિ.મી.થી વધુ અંદર ઘૂસી આવ્યા હતા.
અરૂણાચલ પ્રદેશનું તવાંગ ચીન માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. પાટનગર ઈટાનગરથી અંદાજે ૪૫૦ કિ.મી. દૂર તવાંગ અરૂણાચલનો સૌથી પશ્ચિમી જિલ્લો છે. તવાંગ ચીનની સાથે ભૂતાનની સરહદને પણ સ્પર્શે છે. ઉપરાંત સાંસ્કૃતિક દૃષ્ટિએ જોઈએ તો દુનિયામાં તવાંગ બીજો સૌથી મોટો બૌદ્ધ મઠ છે. તિબેટની રાજધાની લ્હાસા પછી તે સૌથી મોટો છે. આ મઠને ખૂબ જ પવિત્ર મનાય છે. નિષ્ણાતો જણાવે છે કે આ મઠ ચીનના શાસનથી દૂર રહેવાના કારણે અત્યાર સુધી તેના શુદ્ધ રૂપમાં છે. તવાંગ તિબેટની સંસ્કૃતિના અંતિમ બચેલા કેન્દ્રોમાંનું એક છે.
ચીની સૈનિકો તિબેટને ધમરોળી રહ્યા હતા ત્યારે આ મઠે અનેક અમૂલ્ય પાંડુલિપી અને જૂના શાસ્ત્રો બચાવ્યા છે. તવાંગ મઠ દેવતા પાલદેન લ્હામો અથવા દેવી દ્રી દેવીને સમર્પિત છે. જેમને તિબેટના મુખ્ય સંરક્ષક મનાય છે. માન્યતા છે કે આ મઠનું પતન થશે તો તિબેટ અને તિબેટીયન બૌદ્ધ ધર્મ હંમેશા માટે સમાપ્ત થઈ જશે. તવાંગ તિબેટિયન બૌદ્ધ કેન્દ્રનો અંતિમ સૌથી મોટો ગઢ છે, જેનો ચીન વર્ષોથી નાશ કરવા માગે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FubFjK
via IFTTT
ટિપ્પણીઓ નથી: