જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગરિકોની હત્યા કરનારા આતંકવાદીઓનો નર્કમાં ઈંતજારઃ ફારૂક અબ્દુલ્લા

- માત્ર 7 લોકોની હત્યા નહીં પણ 28 લોકોની હત્યા થઈ ચુકી છે જેમાં 21 મુસ્લિમ લોકો પણ સામેલ છેઃ અબ્દુલ્લા
નવી દિલ્હી, તા. 13 ઓક્ટોબર, 2021, બુધવાર
નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલી હિંસાને લઈ ચર્ચા કરી હતી. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, કટ્ટરપંથી લોકોએ પણ આ વાત સમજવી જોઈએ કે, ઈસ્લામ નિર્દોષ લોકોની હત્યા કરવાની મંજૂરી નથી આપતું. આ લોકો ખોટું કરી રહ્યા છે અને નર્કમાં તેમની રાહ જોવાઈ રહી છે.
શું કાશ્મીરમાં હિંસાની વાપસી થઈ રહી છે તેવા સવાલના જવાબમાં ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, 'અમે લાંબા સમયથી આ અંગે વિચારી રહ્યા હતા. જે પળે આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવ્યો, અમને લાગ્યું કે વસ્તુઓ ઠીક નહીં થાય, સ્થિતિ વધારે બગડશે અને સ્થિતિ બદતર થઈ ગઈ.'
ફારૂક અબ્દુલ્લાને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, 7 લોકોનું ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું, એવો ડર છે કે, સ્થિતિ 1990 જેવી ન બની જાય. તેના જવાબમાં અબ્દુલ્લાએ કહ્યું કે, જો તમને યાદ હોય તો માત્ર 7 લોકોની હત્યા નહીં પણ 28 લોકોની હત્યા થઈ ચુકી છે જેમાં 21 મુસ્લિમ લોકો પણ સામેલ છે. આ પહેલેથી ચાલી રહ્યું છે. લોકો હવે અવાજ ઉઠાવી રહ્યા છે જ્યારે બિન મુસ્લિમ લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.
હિંસાનું આ ચક્ર કઈ રીતે ખતમ થશે તેવા સવાલના જવાબમાં ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, આ માટે સૌથી સારૂ એ રહેશે કે ભારત અને પાકિસ્તાન એક સાથે બેસે અને શાંતિથી વાત કરે. તેનાથી મોટો ફેરફાર આવશે. અમે હંમેશાથી કહેતા આવ્યા છીએ કે બેઠક યોજાય અને વાતચીત થાય.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DAwtnF
via IFTTT
ટિપ્પણીઓ નથી: